ભારતીય સંસ્કૃતિમાં અનેક ઉત્સવો ઉજવાય છે. તે જ રીતે અષાઢ-શ્રાવણ માસમાં ઝરમર વરસાદની હેલીમાં પ્રભુ પ્રેમમાં ઘેલા બનવાનું અને હૈયાના હીંડોળે હરિવરને ઝુલાવી અંતરને ભક્તિભાવથી ભીંજવવાનો અવસર એટલે હીંડોળા ઉત્સવ.
કૃષ્ણ ભગવાનને વૃંદાવનમાં હીંડોળે ઝુલી ગોપીઓને સુખ આપ્યુ હતું અને સ્વામીનારાયણ ભગવાને વડતાલ ગઢપુર વગેરે ધામોમાં અનેક વખત હીંડોળે ઝુલી ભક્તોને સુખ આપ્યુ હતું. ભગવાન સ્વામીનારાયણના આ દિવ્ય ચરિત્રોની સ્મૃતિ તાજી થાય અને ભક્તજનોને પ્રાણપ્યારા પ્રભુજીને ઝુલાવવાનો અવસર મળે તે હેતુથી શ્રી સ્વામીનારાયણ મંદિર કારેલીબાગ વડોદરાના આંગણે પ.પૂ.શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીજીની પ્રેરણાથી આ ભવ્ય હીંડોળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ હીંડોળા ઉત્સવની ખાસીયત એ છે કે હીંડોળાના વિવિધ ફ્લોર તૈયાર કરતા બે માસ જેટલો સમય લાગે છે. જેમાં ૨૦૦ જેટલા સંતો તથા હરિભક્તો દ્વારા રાત-દિવસ સખત મહેનતના પરિણામે આ હીંડોળા તૈયાર કરવામાં આવ્યા છે.
આજના સમયમાં દેશના વિવિધ લોકઉપયોગી અભિયાનો અનુરૂપ હીંડોળા, દરેક જાતના કઠોળના હીંડોળા, નાળિયેરના હીંડોળા તેમજ ભારતના પ્રસિધ્ધ મંદિરોના હીંડોળા તૈયાર થાય છે. આ અદભૂત હીંડોળાના દર્શન કરી લોકોને અનેરો આનંદ પ્રાપ્ત થાય છે. સાથે સાથે હીંડોળે ઝુલાવવાનો પણ આનંદ પ્રાપ્ત કરે છે. દર રવિવારે આ હીંડોળાના વિવિધ સ્વરૂપો બદલવામાં આવે છે. જે ૧૫૦ જેટલા સંતો હરિભક્તો દ્વારા રવિવાર રાત્રેથી સવાર સુધીમાં વિવિધ ફ્લોટ બદલવામાં આવે છે. તેથી હરિભક્તો તે ઉપર રમ્ય કલાકૃતિથી સભર હીંડોળામાં ઝુલતા ભગવાનના દર્શન કરી આનંદમાં દિવ્યાનંદ પ્રાપ્ત થાય છે.
પ.પૂ.શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીજી જણાવે છે કે, છેલ્લા ૧૪ વર્ષથી હીંડોળા ઉત્સવ ઉજવવામાં આવે છે. વિવિધ હીંડોળે ઝુલતા ભગવાનના દર્શન કરીને હૈયામાં વસનારના લખચોરાસીના ફેરા ટળી જાય એવા દિવ્યદર્શન હીંડોળા ઉત્સવમાં થઇ રહ્યા છે. ભગવાન અનંત બ્રહ્માંડના ધણી છે. સર્વત્ર હોવા છતાં ભક્તોની ભાવનાને કારણે હીંડોળે ઝુલાવવા દરરોજ હજારો ભક્તો આ હીંડોળાનો લાભ લેવા આવે છે.