અમદાવાદનાં મણિનગર વિસ્તારમાં બીઆરટીએસની અડફેટે એક વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. અકસ્માત બાદ બીઆરટીએસ ચાલક ફરાર થયો હતો. આ મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અકસ્માતનાં પ્રત્યક્ષદર્શી હર્ષદ પટેલે જણાવતા કહ્યું કે, મણિનગર ૩૦૮ કોરિડોર પાસેથી બીઆરટીએસ કોરિડોર પસાર થાય છે, આ કોરિડોર જવાહર ચોક તરફ જાય છે. આનાં ક્રોસિંગ પાસે જ એક વૃદ્ધા રસ્તો ક્રોસ કરવા જઇ રહ્યાં હતાં. તે જ સમયે મણિનગરથી આવતી બીઆરટીએસે વૃદ્ધાને અડફેટે લીધી હતી. જે બાદ વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત આસપાસનાં લોકોએ જોઇને ઘટના સ્થળે આવી ગયા હતાં. આ જોઇને બીઆરટીએસ ચાલક ફરાર થઇ ગયો હતો.
આ અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતાં. મણિનગર પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળ તપાસ હાથ ધરી છે. પોલીસે દુર્ઘટના સ્થળે આવીને ટ્રાફિક જામને પણ હળવો કર્યો હતો. મહત્વનું છે કે બે દિવસ પહેલા શહેરના સીટીએમ જશોદાનગર બીઆરટીએસ કોરીડોરમાં રસ્તો ઓળંગવા જતા એક યુવાન પાવાગઢ રૂટ એસટી બસ નીચે કચડાતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. નેશનલ હાઈવે નંબર -૮ પર સીટીએમથી જશોદાનગરના રુટ પર આ અકસ્માત થતા ટ્રાફિક જામ થયો હતો. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને ટ્રાફિક પૂર્વવત કરાયો હતો.
આગળની પોસ્ટ