દિલ્હી અને અમરોહામાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ ફરી એક વાર દરોડાની મોટી કાર્યવાહી હાથ ધરી છે. એનઆઇએએ બે જગ્યાએ દરોડા પાડીને વધુ પાંચ શકમંદને કસ્ટડીમાં લીધા છે. એક અઠવાડિયામાં એનઆઇએ દ્વારા બીજી વખત દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ છે.એનઆઇએએ દિલ્હીના સીલમપુર અને જાફરાબાદમાં દરોડા પાડ્યા હતા. ધરપકડ કરાયેલા શકમંદ પાસેથી મોટી સંખ્યામાં શસ્ત્રો અને આઇએસઆઇએસના પેમ્ફલેટ જપ્ત કર્યા છે. પોલીસ શકમંદોની સઘન પૂછપરછ કરી રહી છે.આ અગાઉ પણ એનઆઇએ દ્વારા દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ૧૭ જગ્યાએ દરોડા પાડીને ૧૦ લોકોની ધરપકડ કરી હતી. એનઆઇએએ અમરોહાની એક મસ્જિદના મૌલવી મુફતી સોહેલને આ આતંકવાદી સંગઠનનો સૂત્રધાર હોવાનું જણાવ્યું હતું. મુફતી સોહેલ ઉત્તર પ્રદેશના અમરોહાનો રહેવાસી છે. જોકે હાલ તે દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં રહેતો હતો.એનઆઇએના જણાવ્યા પ્રમાણે આઇએસઆઇએસ સંગઠન આત્મઘાતી હુમલાની તૈયારી કરી રહ્યું હતું. હરકત-ઉલ-હર્બે ઇસ્લામ નામનું આ સંગઠન આઇએસઆઇએસથી પ્રભાવિત હતું. શકમંદ આતંકી મુફતી સોહેલના નિવેદનના આધારે એનઆઇએ દ્વારા નવેસરથી દરોડા પાડવામાં આવ્યા હતા.આ અગાઉ ધરપકડ બાદ એનઆઇએને જંગી જથ્થામાં શસ્ત્રો અને વિસ્ફોટકો પ્રાપ્ત થયા હતા. એજન્સીએ દેશી રોકેટ લોન્ચર, ૧ર પિસ્તોલ, ૧ર૦ એલાર્મ કલોક, ૧૦૦ મોબાઇલ ફોન, ૧૩પ સીમકાર્ડ, કેટલાય લેપટોપ અને વીજળીના વિવિધ ઉપકરણો અને ૧પ૦ વિસ્ફોટકો જપ્ત કર્યા હતા.