મુસ્લિમોમાં પ્રચલિત ત્રણ તલાકની પ્રથાને અપરાધની શ્રેણીમાં લાવનારું ત્રણ તલાક બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવાનું નક્કી કરાયું હતું.ભાજપ અને કોંગ્રેસે આ બિલને ધ્યાને રાખી પોતાના સાંસદોને વ્હિપ જાહેર કરી સોમવારે ગૃહમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત અન્ય દળોએ પણ આ મહત્વપૂર્ણ બિલ રજૂ થવાને લઈ પોતાના સાંસદોને ગૃહમાં હાજર રહેવા કહ્યું હતું.સોમવારે રાજ્યસભાની શરૂઆત થતાં જ હોબાળો શરૂ થઈ ગયો હતો. સતત થઈ રહેલા હોબાળાને લઈ પહેલાં રાજ્યસભા ૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ ૨ વાગ્યે કાર્યવાહી શરૂ થતાં હોબાળો થતાં ફરીથી ૧૫ મિનિટ માટે કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. ત્રીજી વાર કાર્યવાહી શરૂ થતાં જ ત્રણ તલાક મુદ્દે ગૃહમાં ફરી હોબાળો થતાં રાજ્યસભાની કાર્યવાહી ૨ જાન્યુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ત્રણ તલાક બિલના મુદ્દે તેમની પાર્ટીનું સ્ટેન્ડ સ્પષ્ટ છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ ઘણા લાંબા સમયથી માંગ કરી રહી છે કે આ બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવામાં આવે. ખાસ કરીને કોંગ્રેસને આ બિલમાં સજાની જોગવાઈ સામે વાંધો છે, સાથોસાથ કોંગ્રેસ પીડિત મહિલાઓને વળતરની માંગ પણ કરતી આવી છે.ત્રણ તલાક બિલને લઈને વડાપ્રધાન મોદીએ સંસદ ભવનમાં ભાજપના નેતાઓની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ગૃહ મંત્રી રાજનાથસિંહ, નાણા મંત્રી અરુણ જેટલી, નિતિન ગડકરી સહિત અન્ય મોટા નેતા પણ ઉપસ્થિત રહ્યા.
આ બિલમાં એક સાથે ત્રણ તલાક બોલનારા શખ્સને ત્રણ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. બીજી તરફ, વિપક્ષી પાર્ટીઓની માંગ છે કે આ બિલને ગૃહમાં રજૂ કરતાં પહેલા સિલેક્ટ કમિટીને મોકલવામાં આવે. એવામાં આ વિવાદિત બિલને વિપક્ષી પાર્ટીઓનો જોરદાર વિરોધનો સામનો કરવો પડી શકે છે.રાજ્યસભામાં હાલ ૨૪૪ સાંસદોમાંથી ભાજપની પાસે ૭૩ સાંસદ છે. તેના સહયોગીઓમાં જેડીયૂના ૬, અકાલી દળના ૩ અને શિવસેનાના ૩ સાંસદો છે. કેટલીક નાની પાર્ટીઓના ૪ સાંસદોનું સમર્થન ભાજપ સાથે છે. નામાંકિત અને અપક્ષ મળી વધુ ૯ સાંસદ તેમન પક્ષમાં આવી શકે છે. એટલે કે ૨૪૪માંથી કુલ ૯૮ સાંસદોનું સમર્થન બલિને મળી શકે છે. તેની સામે વિપક્ષનું સંખ્યાબળ વધુ છે. યૂપીએ પાસે ૧૧૨ સાંસદોનું સમર્થન છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ