કર્ણાટકનાં મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાજકીય લાભ માટે દેશની પ્રજાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે. હકીકતમાં નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ખેડૂતોના દેવા માફી યોજનાને ક્રૂર મજાકોમાંથી એક ગણાવી હતી. ત્યારબાદ કુમારસ્વામીએ આ અંગે પીએમ મોદી પર પ્રહારો કર્યા હતા.
કૃષિ દેવા માફી યોજનાના અમલ માટે જેડી(એસ)-કોંગ્રેસ ગઠબંધનન સરકારે ખેડૂતોના દેવા માફી વચનને પૂર્ણ કરવાની વાત કરતા તેમણે દાવો કર્યો હતો કે, અત્યાર સુધી ૬૦,૦૦૦ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે.મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કુમારસ્વામીએ જણાવ્યું હતું કે, આ અત્યંત દુઃખદ છે કે, તેઓ(મોદી) ખેડૂતોની યોજનાને એક ક્રૂર મજાકના રૂપે જુએ છે, યોજના અંગે સંપૂર્ણ તથ્ય જાણ્યા વગર જ તેઓ દેશની પ્રજાને ગેરમાર્ગે દોરે છે.
પીએમ મોદીએ શુક્રવારે એક વીડિયો કોન્ફરન્સ મારફતે કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે, દેવામાફીના નામ પર તેમણે જે કર્યું છે તે ઇતિહાસમાં સૌથી ક્રૂર મજાકના સ્વરૂપે નોંધાશે. સત્તા મેળવ્યાના છ માસ બાદ જાણ થઇ છે કે, માત્ર કેટલાક જ ખેડૂતોને આ દેવા માફી યોજનાથી લાભ થયો છે.પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ખેડૂતો માટે તેમણે જે કર્યું છે તેમનો શ્રેય તેઓ લઇ રહ્યા છે, પરંતુ શું તેઓ કર્ણાટકમાં ખેડૂતોની આત્મહત્યાની જવાબદારી પણ લેશે? કુમારસ્વામીના નેતૃત્વ વાળી સરકારે સત્તામાં આવ્યાનાં કેટલાક સમય બાદ જુલાઈ મહિનામાં ૪૫,૦૦૦ કરોડ રૂપિયાના ખેડૂતોના દેવા માફી યોજનાની ઘોષણા કરી હતી.પરંચુ બેન્ક સંબંધી અનેક મુદ્દાને કારણે યોજના હવામાં લટકી ગઇ છે.