કેન્દ્રના પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પાયાવિહોણા આક્ષેપ કરનારા લોકોને જનતા આવતા વર્ષે લોકસભાની ચૂંટણીમાં પાઠ ભણાવશે.
લઘુમતી બાબતોને લગતા ખાતાના પ્રધાને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિને અહીં યોજાયેલા ‘સુશાસન દિવસ’ના કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું કે લોકસભાની ૨૦૦૪ની ચૂંટણીમાં તે સમયના કૉંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીએ વાજપેયીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા તેમને ‘કફનચોર’ કહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મોદી સામે આવા ષડ્યંત્ર કરનારા લોકોને જનતા લોકસભાની ચૂંટણીમાં પાઠ ભણાવશે. રાફેલ વિમાનોનો સોદો પારદર્શક અને પ્રામાણિક રીતે થયો છે અને કૉંગ્રેસ પક્ષ દેશની સલામતી માટે મહત્ત્વના મુદ્દે શરમજનક રાજકીય રમત રમી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીના સર્જિકલ સ્ટ્રાઇક અને નૉટબંધીના નિર્ણયને લીધે ત્રાસવાદીઓ અને રાષ્ટ્રવિરોધી દળોની કમર ભાંગી ગઇ હતી.
કૉંગ્રેસ અને તેમના સાથીઓ હતાશ થઇને મરણિયા બન્યા છે. તેઓ સર્જિકલ સ્ટ્રાઇક સામે સવાલ કરી રહ્યા છે અને નૉટબંધીની સામે બૂમરાણ મચાવી રહ્યા છે. ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ છેલ્લાં સાડાચાર વર્ષ દરમિયાન સાડાચાર કલાકની રજા પણ નથી લીધી, પરંતુ ચાર દિવસ કામ કરીને ચાર મહિના પિકનિક પર જતાં લોકો તેમની ટીકા કરી રહ્યા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ