સ્થાનિક મુદ્દાઓ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એપ્રિલ, ૨૦૧૯ સુધી વિદેશ પ્રવાસ નહીં કરે તેમ વરિષ્ઠ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, આ ચાર મહિના દરમિયાન પીએમ મોદીની હાજરીની જરૂર હોય તેવી એક પણ મોટી ઇવેન્ટ નથી.
ગત વર્ષે મોદીએ ૧૪ વિદેશ યાત્રા કરી હતી. મોદી વડાપ્રધાન હોવા ઉપરાંત ભાજપના સ્ટાર પ્રચારક પણ છે. તાજેતરમાં જાહેર થયેલા પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પરિણામમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સત્તા ગુમાવવી પડી હતી. હિન્દી પટ્ટાના આ ત્રણ મહત્વના રાજ્યોમાં સત્તા ગુમાવ્યા બાદ ભાજપ અહીં ફરી મજબૂત થવા માંગે છે.
તાજેતરમાં રાજ્યસભા સાંસદ બિનોય વિસ્વમે વિદેશ મંત્રીને પીએમના વિદેશ પ્રવાસ સંબંધિત ૪ પ્રશ્નો પૂછ્યા હતા. વિદેશ રાજ્ય મંત્રી જનરલ વીકે સિંહે આ સવાલોનો વિસ્તારથી જવાબ આપ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, પીએમ મોદીએ ૨૦૧૪થી લઈને અત્યાર સુધીમાં ૮૪ વિદેશ પ્રવાસ કર્યા છે. જેમાં સૌથી વધારે ૫ વખત અમેરિકા પ્રવાસે ગયા છે. જ્યારે ચાર વખત ચીનની મુલાકાત લીધી છે.
એક અંદાજ મુજબ લોકસભા ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં યોજાશે. જેથી રાજકીય પક્ષો પાસે જાન્યુઆરીથી મે સુધીનો જ સમય પ્રચાર માટે બચ્યો છે. ગત લોકસભા ચૂંટણી મોદીને પીએમ પદના ઉમેદવાર જાહેર કર્યા બાદ ભાજપે સપ્ટેમ્બર ૨૦૧૩થી મે ૨૦૧૪ સુધી સમગ્ર દેશમાં રેલી, ચૂંટણી પ્રચાર, થ્રી ડી રેલીઓ અને ચાય પે ચર્ચા જેવા મળીને કુલ ૫૮૨૭ કાર્યક્રમ આયોજિત કર્યા હતા.
જૂન ૨૦૧૪થી અત્યાર સુધીમાં મોદીએ ૮૪ વિદેશ યાત્રાઓ કરી છે. અધિકારીઓ અનુસાર દક્ષિણ એશિયાના દેશોના પ્રવાસની દરખાસ્ત ચોક્કસપણે કરવામાં આવી છે, પરંતુ તેની તારીખ નક્કી કરવાની બાકી છે. ભૂતાનના વડાપ્રધાન લોતાય શેરિંગ ગુરુવારે ત્રણ દિવસ માટે ભારત પ્રવાસે આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે શેરિંગ ભારતીય વડાપ્રધાન મોદીને ભુતાનની મુલાકાત લેવા આમંત્રણ આપી શકે છે. ભૂતાન સાથેના ભારતના સંબંધોને ધ્યાનમાં રાખીને એવું માનવામાં આવે છે કે આ આમંત્રણ ભારત સ્વીકારી શકે છે.