ભાજપના નેતા ગિરિરાજ સિંહે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધ્યું અને તેમની તુલના ઉત્તર કોરિયાના લીડર કિમ જોંગ ઉન સાથે કરી નાખી. ગિરિરાજ સિંહે કહ્યું કે, પશ્ચિમ બંગાળ એકમાત્ર રાજ્ય છે જ્યાં લોકતંત્ર માટે કોઈ સ્થાન નથી. મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં ઉત્તર કોરિયન નેતા કિમ જોંગ ઉનની જેમ કામ કરી રહી છે. કિમની જેમ તે દરેકને મારી નાખે છે જે તેમની વિરુદ્ધ અવાજ ઉઠાવે છે.
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે રાજ્યમાં ભાજપની પ્રસ્તાવિત રથ યાત્રાનો મમતા સરકારે કાયદાકિય વ્યવસ્થાનો હવાલો આપીને વિરોધ કર્યો હતો. પશ્ચિમ બંગાળ સરકારનું કહેવું હતું કે તેનાથી સાંપ્રદાયિક તોફાનો ફાટી શકે છે. ગત મહિને મમતા બેનર્જીએ ભાજપની રથયાત્રાને રાવણ યાત્રા કહી હતી અને ત્યારબાદ પવિત્ર યાત્રા આયોજિત કરવાની જાહેરાત કરી હતી જેથી બંગાળને પવિત્ર કરી શકાય.
મમતાએ ભાજપને કહ્યું હતું કે આ લોકો નેમ ચેન્જર, પોલિસી ચેન્જર, નોટ ચેન્જર અને ભારત માટે ડેન્જર છે. તેઓએ કહ્યું કે ભાજપ ભગાવો, દેશ બચાવો.