જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરે વિસ્તારમાં આજે સુરક્ષા દળો અને ત્રાસવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઇ હતી. આ અથડામણમાં બે ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા હતા. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓ લશ્કરે તોયબાના હોવાનુ જાણવા મળ્યુ છે. અથડામણ બાદ સમગ્ર વિસ્તારમાં મોટા પાયે ઓપરેશન ચાલી રહ્યુ છે. આ વર્ષે સુરક્ષા દળોને ઓપરેશન ઓલઆઉટ હેઠળ અભૂતપૂર્વ સફળતા હાંસલ થઇ રહી છે. બુધવારે મોડી રાત્રે ત્રાસવાદીઓના સંબંધમાં માહિતી મળ્યા બાદ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ત્રાસવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો.જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે. વર્ષ ૨૦૧૮માં હજુ સુધી ૨૨૩ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. છેલ્લા આઠ વર્ષના ગાળામાં સૌથી વધુ સંખ્યામાં આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ પહેલા વર્ષ ૨૦૧૦માં ૨૩૨ ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ગૃહ મંત્રાલયના આંકડા મુજબ જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે આતંકવાદી ગતિવિધિઓમાં ગયા વર્ષની સરખામણીમાં વધારો થયો છે. ગયા વર્ષે આતંકવાદ સંબંધિત ૩૪૨ ઘટનાઓ ઘટી હતી જ્યારે આ વર્ષે ૪૨૯ ઘટનાઓ ઘટી છે. ગયા વર્ષે ૪૦ નાગરિકો માર્યા ગયા હતા જ્યારે આ વર્ષે ૭૭ નાગરિકો માર્યા ગયા છે. આ વર્ષે સુરક્ષા જવાનો ૮૦ શહીદ થયા છે. ગયા વર્ષે પણ ૮૦ જવાનો શહીદ થયા હતા. ખીણમાં આ વર્ષે પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. પાકિસ્તાની ત્રાસવાદીઓને ખીણમાં હજુ પણ સ્થાનિક લોકોનો ટેકો મળી રહ્યો છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ