અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા અચાનક પલ્ટા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી ૧ જુનથી શહેરના ટાગોરહોલ ખાતે મુખ્ય કંટ્રોલરૂમની કામગીરી શરૂ કરવા ૨૪ જેટલા અધિકારીઓને ખાસ ફરજ સોપવા અંગેના આજરોજ ઓર્ડર કરવામાં આવ્યા છે. આ સાથે જ ઈજનેર વિભાગને વહેલી તકે ડીસીલ્ટીંગની કાર્યવાહી પુરી કરવા પણ તાકીદ કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી અનુસાર,શહેરમાં રવિવાર અને સોમવારના રોજ અચાનક ભારે વેગીલા પવનો સાથે અચાનક વરસી પડેલા કમોસમી વરસાદને પગલે મ્યુનિસિપલ તંત્ર ઉંઘતું ઝડપાઈ જવા પામ્યુ હતું. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં સંખ્યાબંધ વૃક્ષો ધરાશયી બનવાની સાથે અનેક વિસ્તારોમાં મોટા-મોટા હોર્ડિંગ્સ,કીઓસ્ક વગેરે પણ તુટી પડયા હતા. આ કારણોસર મ્યુનિસિપલ કમિશનર,મેયર સહીતના અન્ય ઉચ્ચ અધિકારીઓએ ઈજનેર,ફાયર વિભાગ સહીતના અન્ય અધિકારીઓ અને સ્ટાફને અલગ અલગ વિસ્તારોમાં દોડાવીને સ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો હાથ ધરવા પડ્યા હતા. દરમ્યાન મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારની સુચનાને પગલે સામાન્ય રીતે ૧૫ જુન બાદ શરૂ કરવામાં આવતા શહેરના પાલડી વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ટાગોર કંટ્રોલરૂમને આ વર્ષે ૧ લી જુનથી જ શરૂ કરવાનો નિર્ણય મ્યુનિ.તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કે એલ બચાણીએ મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા આસીટન્ટ મેનેજરો,ઓફિસ સુપ્રિટેન્ડન્ટ,સ્નાનાગર સુપ્રિટેન્ડન્ટ વગેરે જેવા ૨૪ અધિકારીઓને તેમની હાલની ફરજ ઉપરાંત ટાગોર કંટ્રોલરૂમની જવાબદારી સોંપતા ઓર્ડર કર્યા છે. ટાગોર કંટ્રોલરૂમ ખાતે ત્રણ અલગ અલગ શિફટમાં આ અધિકારીઓને સોંપવામાં આવેલા દિવસ અને કલાકો સુધી ફરજ બજાવવાની રહેશે. ચોમાસાની મોસમ પુરી ન થાય ત્યાં સુધી આ વધારાની ફરજ તેમણે બજાવવાની રહેશે. પ્રાથમિક તૈયારી હવે હાથ ધરવામાં આવી છે.
આગળની પોસ્ટ