વેકેશનના ગાળામાં યાત્રીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં લઇને વધારાની ટ્રેનો દોડાવવાનો રેલવે દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. વેકેશનમાં લોકોની સંખ્યામાં એકાએક જોરદાર રીતે વધી જાય છે. આ ધસારાને પહોંચી વળવાના હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. મુસાફરો-પ્રવાસીઓની વધી રહેલી સંખ્યા અને તેમની સુુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા તા.૨૬મી મેથી તા.૨૩મી જૂન,૨૦૧૭ દરમ્યાન વેકેશનના સમયગાળા દરમ્યાન અમદાવાદ-વારાણસી વચ્ચે સાપ્તાહિક એસી સ્પેશ્યલ ટ્રેન વિશેષ ભાડા સાથે દોડાવવામાં આવશે. આ સાપ્તાહિક સ્પેશ્યલ ટ્રેનમાં સેકન્ડ એસી અને થર્ડ એસીના કોચ રહેશે.
આ ટ્રેનનું રિઝર્વેશન(આરક્ષણ) તમામ કોમ્પ્યુટરાઇઝ્ડ આરક્ષણ કેન્દ્રો તતા આઇઆરસીટીસીની વેબસાઇટ પરથી તા.૨૫મી મેથી શરૂ થશે. પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરો-પ્રવાસીઓને ઉનાળાના દિવસોમાં ખાસ કરીને વેકેશનની રજાઓ દરમ્યાન ફરવા-મુસાફરીમાં કોઇ અગવડ ના પડે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. જે મુજબ, અમદાવાદ-વારાણસી વચ્ચે સાપ્તાહિક એસી સ્પેશ્યલ ટ્રેન દોડાવાશે. ટ્રેન નંબર-૦૯૪૨૧ અમદાવાદ-વારાણસી સ્પેશ્યલ સાપ્તાહિક ટ્રેન તા.૨૬મી મે અને તા.૨,૯,૧૬ તથા તા.૨૩ જૂનના રોજ દર શુક્રવારે અમદાવાદથી ૧૧-૨૫ કલાકે ઉપડીને દર રવિવારે સવારે ૬-૨૫ કલાકે વારાણસી પહોંચશે.જયારે પરતમાં ટ્રેન નંબર-૦૯૪૨૨ વારાણસી-અમદાવાદ સ્પેશ્યલ સાપ્તાહિક તા.૨૮ મે અને તા.૪,૧૧,૧૮ તથા ૨૫ જૂનના રોજ દર રવિવારે ૧૨-૦૦ વાગ્યે વારાણસીથી ઉપડીને દર સોમવારે રાત્રે ૧૦-૪૫ કલાકે અમદાવાદ પહોંચશે. આ દરમ્યાન આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં આણંદ, વડોદરા, રતલામ, નાગદા, કોટા, સવાઇ માધોપુર, ગંગાપુર સીટી, હિંડૌન સીટી, આગરા ફોર્ટ, ટુંડલા, કાનપુર, લખનૌ, ફૈઝાબાદ, શાહગંજ અને જોનપુર સ્ટેશનો પર રોકાશે.