દિલ્હી સ્કૂલ ઑફ પ્લાનિંગ ઍન્ડ આર્કિટેક્ચર (ડીએસપીએ) દ્વારા તાજમહેલની ભાવિ યોજના અંગેના તૈયાર કરવામાં આવેલા દસ્તાવેજ કે વિઝન ડૉક્યુમેન્ટમાં કશું જ ગુપ્ત ન હોવાનું જણાવી ઉત્તર પ્રદેશ સરકારને આ દસ્તાવેજો જાહેર કરવાનું સુપ્રીમ કૉર્ટે ગુરુવારે જણાવ્યું હતું.
આ દસ્તાવેજો અંગે કશું જ છાનું નથી, એમ ન્યાયાધીશ મદન બી. લોકુરના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું હતું. ઉત્તર પ્રદેશના આગ્રામાં આવેલા તાજ મહેલના રક્ષણ અને જાળવણી માટેની ભાવિ યોજનાના દસ્તાવેજો અમે તૈયાર કરી રહ્યા છીએ અને થોડા જ દિવસોમાં એ કામ પૂરું થઈ જશે, એમ ડીએસપીએએ કૉર્ટને જણાવ્યું હતું.
દસ્તાવેજો રાજ્ય સરકારને સુપરત કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું. કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા ઍડિશનલ સોલિસિટર જનરલ એએનેસ નાડકર્ણીએ ખંડપીઠને જણાવ્યું હતું કે યુનેસ્કોને સુપરત કરવાનો તાજમહેલના પ્રથમ હૅરિટેજ પ્લાનને આઠ અઠવાડિયામાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
૧૭મી સદીના આ સ્મારકના રક્ષણ અને જાળવણી માટે ભાવિ યોજના અંગેના દસ્તાવેજો તૈયાર કરીને રજૂ કરવાની તારીખ કૉર્ટે પચીસ સપ્ટેમ્બરે લંબાવીને ૧૫ નવેમ્બર કરી આપી હતી અને તાજમહેલની આસપાસના અમુક વિસ્તારને હેરિટેજ જાહેર કરવાનું ધ્યાન પર લેવા જણાવ્યું હતું.