કર્ણાટકમાં ફરી રાજકીય ગરમાવો આવી ગયો છે. કુમારસ્વામીની સરકારને લઈને ફરી એકવાર અનેક તર્કવિતર્કો વહેતા થયા છે. આનું કારણ છે કર્ણાટક કોંગ્રેસના કદ્દાવર નેતા અને કુમારસ્વામી સરકારના મંત્રીની પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પા સાથે અચાનક કરવામાં આવેલી મુલાકાત.શાસક-વિરોધ પક્ષના ટોચના નેતાઓ વચ્ચેની આ મુલાકાતને લઈને કર્ણાટકના રાજકીય ગલિયારાઓમાં એક નવા જ પ્રકારના રાજકીય ગઠબંધનનો સળવળાટ શરૂ થયો છે.ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પ પાણી પુરવઠા મંત્રી ડીકે શિવકુમારને તેમના સત્તાવાર નિવાસસ્થાને મુલાકાત કરી હતી. જોકે આ બેઠક માટે એવું પણ કહેવાય છે કે યેદિયુરપ્પાના ગૃહ જીલ્લા શિમોગામાં કેટલાક સિંચાઈના પ્રોજેક્ટ છેલ્લા કેટલાય સમયથી પડતર પડેલા છે. જેને પુરા કરવા બાબતે જ યેદિયુરપ્પા શિવકુમારને મળવા ગયાં હતાં. આ મુલાકાતને લઈને સત્તાવાર રીતે એવું કહેવાઈ રહ્યું છે કે, શિમોગા જીલ્લામાં શરાવતી નદી પર એક પુલ બાંધવાની માંગ છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે. આ મુદ્દે ચર્ચા કરવા જ યેદિયુરપ્પા ડીકે શિવકુમારને મળ્યાં હતાં.
પરંતુ આ મુલાકાત બાદ ડીકે શિવકુમારે ગુગલી ફેંકી છે. તેમણે ચર્ચાઓને વેગ આપતા કહ્યું છે કે હું અને યેદિયુરપ્પા ખાસ મિત્રો છીએ. જ્યારે યેદિયુરપ્પા સરકારમા હતાં ત્યારે તેઓ મારી પણ મદદ કરતા હતા.
ડીકે શિવકુમાર કર્ણાટક કોંગ્રેસમાં એક મોટું નામ છે. તેમના કદનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે, જ્યારે આ વર્ષે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમત ના મળ્યો અને કોંગ્રેસ-જેડીએસ ગઠબંધ બનાવવાની જાહેરાત થઈ તો બંને પક્ષના તમામ ધારાસભ્યોને એકજુથ રાખવાની મુશ્કેલ અને પડકારજનક જનક ભૂમિકા શિવકુમારે જ અદા કરી હતી. આ ચુંટણીમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભર્યો હતો પરંતુ સહેજ માટે મહુમતિથી રહી ગયો હતો. સાત ધારાસભ્યોની જરૂર હતી માટે ભાજપની નજર કોંગ્રેસ અને જેડીએસના અસંતુષ્ઠ ધારાસભ્યો પણ મંડાઈ હતી. પરંતુ ડીકે શિવકુમારે જ ભાજપને પોતાના ઈરાદામાં સફળ થવા દીધી નહોતી. અંતે એચડી કુમારસ્વામીના નેતૃત્વમાં જેડીએસ અને કોંગ્રેસની સરકાર રચાઈ. શિવકુમારને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા અને બે મોટા મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી.