એરસેલ-મેક્સિસ કેસમાં મોરિશિયસ સ્થિત કંપની ગ્લોબલ કોમ્યુનિકેશન સર્વિસીસ હોલ્ડિંગ લિમિટેડને ગેરકાયદેસર રીતે રોકાણ કરવાની મંજૂરી આપવાના આરોપોના સંદર્ભમાં પૂર્વ નાણા પ્રધાન ચિદમ્બરમે કોર્ટને જણાવ્યું હતું કે સીબીઆઇ દ્વારા મારી વિરુદ્ધ મૂકવામાં આવેલા આરોપો ખોટા અને પાયાવિહોણા છે.
ચિદમ્બરમે કરેલી આગોેતરા જામીન માટેની અરજીના સંદર્ભમાં સીબીઆઇએ જણાવ્યું હતું કે તેઓ તપાસમાં સહકાર આપી રહ્યાં ન હોવાથી તેમની કસ્ટોેડિયલ પૂછપરછ જરૃરી છે. ચિદમ્બરમ વતી તેમના વકીલ પી કે દુબે અને અર્શદીપ સિંહે વિશેષ જજ ઓપી સૈની સમક્ષ રજૂઆત કરી હતી.
આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેર્સની જાણ કર્યા વગર ચિદમ્બરમે એફઆઇપીબીની મંજૂરી આપી હોવાના સીબીઆઇના આરોપો પાયાવિહોણા છે.
ચિદમ્બરમે દાવો કર્યો છે કે સીબીઆઇએ મૂકેલા ખોટા હોવાથી કસ્ટોડિયલ પૂછપરછ કરવાની તેની માગ અયોગ્ય છે. સીબીઆઇ પાસે તમામ પુરાવા અગાઉથી જ ઉપલબ્ધ છે. કોર્ટે ૨૬ નવેમ્બર સુધી ધરપકડ સામે ચિદમ્બરમને રક્ષણ આપ્યું છે.