મુંબઇથી દિલ્હી દોડનારી રાજધાની એક્સપ્રેસની ઝડપે ટૂંક સમયમાં વધી જશે અને આ અંગેની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. એક મહિના પહેલા મુંબઇથી દિલ્હી વચ્ચે ચાલનારી વિશેષ રાજધાની એક્સપ્રેસનું પુશ-પુલ મોડ પર ટ્રાયલ કરવામાં આવી હતી. ટ્રેનના બન્ને છેડે એન્જિન રાખીને ૧૩૦ કિ.મી. પ્રતિ કલાકની સરેરાશ ઝડપે દોડાવવામાં આવી હતી. પરીક્ષણ સફળ થયા બાદ હવે રેલવે બૉર્ડ તરફથી પશ્રિ્ચમ રેલવેને આ અંગેની તૈયારીઓ કરવા માટેના આદેશ પ્રાપ્ત થઇ ચૂક્યા છે. તેથી બે-ત્રણ મહિનામાં રાજધાની એક્સપ્રેસની ઝડપ વધી જશે.
પાછલા મહિને પશ્રિ્ચમ રેલવે અને રિસર્ચ ઍન્ડ ડિઝાઇન સ્ટાન્ડર્ડ ઓર્ગનાઇઝેશન (આરડીએસઓ) દ્વારા મળીને કરેલી ટ્રાયલ બાદ તેના રિપોર્ટ રેલવે બૉર્ડને પાઠવવામાં આવ્યા હતાં. અને આરડીએસઓના જણાવ્યાનુસાર રેલવે પ્રશાસને છ નવેમ્બરે આ પ્રોજેકટને મંજૂરી આપી હતી. પશ્રિ્ચમ રેલવેને આરડીએસઓ તરફથી આઠમી નવેમ્બરના દિવસે પત્ર પ્રાપ્ત થયો હતો, જેમાં એન્જિન અને કોચમાં ફેરફાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
બાંદ્રાથી દિલ્હી વચ્ચે દોડાવવામાં આવેલી વિશેષ રાજધાની એક્સપ્રેસનું ૧૮ ડબ્બા અને પાછળ એન્જિન જોડીને ટ્રાયલ કરવામાં આવી હતી. ટ્રાયલના પહેલા દિવસે બાંદ્રાથી વડોદરા સુધી ૧૩૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ૨૩ મિનિટની બચત થઇ હતી. બીજા તબક્કામાં વડોદરાથી કોટા સુધી પણ આ જ ઝડપે ટ્રેનને દોડાવવામાં આવી હતી અને ત્રીજા તબક્કામાં કોટાથી દિલ્હી સુધી ટ્રેનને ૧૬૦ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવશે આ હિસાબે એક્સપ્રેસ ટ્રેનની ગતિ નક્કી કરવામાં આવી છે.