Aapnu Gujarat
ગુજરાત

વૌઠા લોકમેળાના પ્રારંભે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ કઠપૂતળી દ્વારા આરોગ્ય સંદેશ આપ્યો

આજના આધુનિક યુગમાં મોબાઇલ, ટીવી, કોમ્પ્યુટરના કારણે કઠપૂતળી (પપેટ) સહિતના પરંપરાગત માધ્યમો ભુલાતા જાય છે ત્યારે અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા કઠપૂતળીની વાર્તા દ્વારા માતા મરણ અટકાવવા સહીતના આરોગ્ય સંદેશ આપવામાં આવ્યા હતા. ધોળકા તાલુકાના વૌઠા ગામે સપ્તનદી સંગમ સ્થાન પર ભરાતા ગુજરાતના પ્રથમ હરોળના અને સૌથી મોટા લોકમેળાનો સોમવારથી પ્રારંભ થયો હતો. સતત પાંચ દિવસ કાર્તિકી પૂર્ણિમા સુધી ચાલનારા મેળાનું રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉદઘાટન કર્યુ હતું અને મેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકયો હતો. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અમદાવાદ જીલ્લાના આરોગ્ય વિભાગની સપ્તધારા ટીમના વખાણ કર્યા હતા અને  કઠપૂતળીની વાર્તા દ્વારા માતા મરણ આટકાવવાનો સંદેશ આપનાર કર્મચારીઓને લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવ્યા હતાં. આ કાર્યક્રમમાં જીલ્લા વિકાસ અધિકારી અરૂણ  મહેેશ બાબુ, મુખ્ય  જીલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ, જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઇ, ડીઆઇઇસીઓ વિજય પંડીત, અમદાવાદ જીલ્લા સપ્તધારા ટીમ સહીત મોટી સંખ્યામાં આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વૈઠા લોકમેળના ઉદ્ઘાટન કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગની પપેટ શો ની ટીમને અભિનંદન આપું છું. પપેટ શો ના દરેક ડાયલોગ સાંભળવા જેવા છે. પપેટ શો લોક જાગૃતિ, લોક શિક્ષણનો ભાગ છે. પપેટ શો દ્વારા લોહતત્વ અંગે સમજ આપવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા પીએચસી, સીએચસી ઉત્તમ વ્યવસ્થા સાથે ચલાવવામાં આવે છે અને હીમોગ્લોબીન ઓછુ હોય તેવી મહીલાઓને મફત છ મહિનાનો કોર્સ કરાવવામાં આવે છે. આપણે અસુરરૂપી વ્યસનના રાક્ષસને મારવાનો છે. આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના અઢી કરોક બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવશે અને બાળકોને જરૂરી મફત સારવાર આપવામાં આવશે.
અમદાવાદ જીલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવે જણાવ્યુ હતુ કે, આરોગ્ય કાર્યકરની ગૃહ મુલાકાત કે ફળીયા મીટીંગમાં કઠપૂતળી સાથે સંવાદની રીત ખૂબ જ રસદાયક અને અસરકારક છે. આરોગ્ય વિષેની સરળ કે કઠીન માહિતી કઠપૂતળીની વાર્તા દ્વારા લોકોને સારી રીતે જલદીથી સમજાવી શકાય છે. સપ્તધારા થી સ્વાસ્થ્ય વર્કશોપમાં તાલીમ મેળવ્યા પછી અમદાવાદ જીલ્લાના  આરોગ્ય કાર્યકર દ્વારા કઠપૂતળીનો સંપર્ક તથા સંવાદ માટેના અસરકારક માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના સૌથી મોટા અને સતત પાંચ દિવસ ચાલનારા સુપ્રસિદ્ધ એવા વૌઠા મેળાે સોમવારથી શરૂ થયો હતો. સાબરમતી, હાથમતી, મેશ્વો, ખારી, વાત્રક, શેઢી અને માઝુમ એમ સાત નદીના સપ્તનદી સંગમ સ્થાન ઉપર ભરાતા મેળાનું અતિ પૌરાણિક મહત્વ ધરાવે છે. સ્થાન ઉપર સ્નાન કરવાથી ગંગામાં સ્નાન કર્યા બરોબરનું મહત્વ ધરાવે છે. સંગમ સ્થાન ઉપર ગુજરાતના ખુણેખુણેથી તેમજ દેશના અન્ય પ્રાંતોના પણ લોકો પવિત્ર સ્નાન કરવા આવે છે અને ભકિત, શ્રદ્ધા અને ભાવનાના ધાર્મિક ત્રિવેણી સંગમમાં ભાગ લઇ ધન્યતા અનુભવે છે અને મેળાની મજા માણે છે.આ વર્ષે પ્રથમ દિવસે મંનોરંજન તેમજ અન્ય ખાણીપીણી, રમકડા વગેરેના સ્ટોલ સજજ થઇ રહ્યા હતા અને વેપારીઓ જર્રરી તૈયારી પુર્ણ કરી સ્ટોલ સજાવી આખરી ઓપ આપી રહ્યા હતા તો અગિયારસને લઇને ધાર્મિક ભાવિક ભકતોએ સપ્તદી સંગમ સ્થાનમાં ડુબકી લગાવી પવિત્ર સ્નાન કર્યુ હતું. મેળામાં નદીના પટમાં ધોળકા શહેરના તેમજ આજુબાજુના વિસ્તારના લોકો પાંચ દિવસના મેળા દરમ્યાન ત્યાં તે ત્યાં પાલ (તંબુ) બાંધી તેમના પરિવાર સાથે રહે છે અને મેળાની મઝા માણે છે તેવા અનેક પરિવાર રહેવા આવી ગયા છે અને આખો નદીનો પટ તંબુથી (પાલ)થી ઉભરાઇ ગયો હતો, વૌઠા ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા પીવાનું પાણી, લાઇટ, સાફ-સફાઇ, શૌચાલયની વ્યવસ્થા પુર્ણ કરી દેવામાં આવી હતી અને યાત્રિકો, વેપારીઓને જરૂરી સગવડ – વ્યવસ્થા મળી રહે તે માટે ગ્રામ પંચાયતના સભ્યો, તા.પં. વહીવટ તંત્ર, જિ.પં.ના જુદા જુદા વિભાગોના અધિકારીઓ અને સ્ટાફ મેળામાં સતત દેખરેખ રાખી લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. મેળા દરમ્યાન દર વર્ષે પાંચ દિવસ દરમ્યાન લાખથી વધુ લોકો મેળો માણવા આવે છે અને ભારે ઘસારો જોવા મળે છે.

તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

2 મહિનામાં એક જ બાળકનું બે વાર અપહરણ

editor

નોકરી માટે વિદેશ જતાં શ્રમિક માટે જાહેર થયેલી માર્ગદર્શિકા

aapnugujarat

રિઝર્વ કોચમાં મુસાફરી માટે ફોટો આઇડી રાખવું પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1