હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર બળાત્કાર મામલે વિવાદાસ્પદ નિવેદન આપીને લોકોની ટીકાનો ભોગ બની રહ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ તેમના એક વીડિયો ક્લીપમાં બળાત્કાર જેવી ધૃણાસ્પદ ઘટનાઓ માટે ખટ્ટરે યુવતીઓને જ જવાબદાર ઠેરવી હતી. તેમના નિવેદન પછી વિપક્ષ પાર્ટીઓ તેમની પર ચારેય બાજુથી તૂટી પડી હતી.
ગુરૂવારે એક કાર્યક્રમ દરમિયાન હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે બળાત્કારની વધતી જતી ઘટનાઓ અંગે નિવેદન આપતાં જણાવ્યું કે, જાતીય શોષણ અને જાતીય સતામણીમાં સૌથી ગંભીર બાબત એ છે કે, તેના ૯૦ ટકા કેસોમાં આરોપી અને પીડિત પરસ્પર જાણકાર હોય છે. થોડા સમય સાથે હરે-ફરે છે, જેવો બન્ને વચ્ચે અણબનાવ બને છે, એ જ દિવસે યુવતી પોતાના પર બળાત્કારની એફઆઇઆર નોંધાવી દે છે.આ પહેલાં પણ હરિયાણામાં બળાત્કારની ઘટનાઓની સત્યતા પર સામે ખટ્ટરે સવાલો ઉભા કર્યા હતા.
ખટ્ટરે જણાવ્યું હતું કે, ઘટનાઓની જાણકારી મેળવ્યા વગર જ લોકોમાં જે અફવાઓ ફેલાય છે, તે ન થવું જોઇએ. ખટ્ટરે એક નિવેદન એવું પણ આપ્યું હતું કે, બળાત્કારના મામલાઓની સંખ્યા વધતી દેખાઇ રહી છે, કારણ કે તેમાં કેટલાક આરોપ ખોટા હોય છે.