વિશ્વ હિન્દૂ પરિષદ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે તમામ ૫૪૩ સાંસદોની મુલાકાત લેશે. આ માટે વીએચપી દ્વારા ૨૫ નવેમ્બરથી ૯ ડિસેમ્બર સુધીનો સમયગાળો નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ તમામ સાંસદોની મુલાકાત લઈને વીએચપી રામમંદિરના નિર્માણ માટે જરૂરી કાયદો બનાવવા માટે સમર્થન માંગશે. વિશ્વ હિન્દૂ પરિષદ ઈચ્છે છે કે આગામી શિયાળુ સત્રમાં આ તમામ સાંસદો પાસેથી સમર્થન મેળવીને કાયદો પારિત કરી દેવાય.
પ્રાપ્ત જાણકારી અનુસાર, ૧૧ ડિસેમ્બરથી સંસદનું શિયાળુ સંતરા શરુ થનાર છે. જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા થશે. આ દરમિયાન વિશ્વ હિન્દૂ પરિષદે રામમંદિરના નિર્માણને લઈને ઠરાવ લાવી તેના ઉપર કાયદો બનાવવાની દિશામાં માંગણી તેજ કરી દીધી છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને વિશ્વ હિન્દૂ પરિષદ સહિતના તમામ જમણેરી સંગઠનોએ રામમંદિરના નિર્માણ માટે એડીચોટીનું જોર લગાવવું શરુ કરી દીધું છે. આ માંગને વધુ બળવત્તર બનાવવા માટે સંસદના શિયાળુ સત્રના થોડા સમય પૂર્વે એટલે કે નવમી ડિસેમ્બરે દિલ્લીના રામલીલા મેદાન ખાતે એક વિશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં લગભગ ૮ લાખ લોકો પહોંચે તેવી આશા સેવાઈ રહી છે. આ પૈકીના ઘણા સાધુ-સંતો પણ હશે. અમને પ્રાપ્ત માહિતી મુજબ આ મેગા રેલીમાં આરએસએસના લગભગ તમામ મોટા નેતાઓ પણ હાજર રહેશે.