સુરતની બળાત્કારનો ભોગ બનેલી સગીરા તરફથી ગર્ભપાત માટે ગુજરાત હાઇકોર્ટે પાસે મંગાયેલી મંજૂરીના કેસમાં સુરત સિવિલ હોસ્પિટલ તરફથી આજે સગીરાની શારીરિક સ્થિતિ અને તેના ગર્ભ પહેલાના ભ્રુણની સ્થિતિનો અહેવાલ રજૂ કરવાનો હતો પરંતુ હોસ્પિટલ તરફથી હાઇકોર્ટના નિર્દેશાનુસાર, આ અહેવાલ રજૂ કરી શકાયો ન હતો. જેને પગલે હાઇકોર્ટે હોસ્પિટલ સત્તાવાળાઓને વધુ એક દિવસનો સમય આપી આવતીકાલ સુધીમાં આ અહેવાલ રજૂ કરવા તાકીદ કરી કેસની વધુ સુનાવણી આવતીકાલ પર મુકરર કરી છે. સુરતની એક સગીરા સાથે બળાત્કારના કેસમાં તેના વાલી તરફથી હાઇકોર્ટ સમક્ષ તેણીના ગર્ભપાતની મંજૂરી માંગતી અરજી કરવામાં આવી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી દ્વારા તેમની સગીર પુત્રી પર ગુજારાયેલા બળાત્કારના કારણે તેણી ગર્ભવતી બની છે. તેણી હજુ સગીર હોઇ આવનાર સંતાનનું ધ્યાન રાખી જવાબદારીનું કોઇપણ પ્રકારે વહન કરી શકે તેવી સ્થિતિમાં નથી.
વળી, ઉપરોકત બનાવના કારણે તેણીની અને તેમના પરિવારને અસહ્ય સામાજિક, માનસિક અને શારીરિક યાતના ભોગવવી પડી છે. તમામ સંજોગો જોતાં તેણીના ગર્ભપાત માટે હાઇકોર્ટે મંજૂરી આપવી જોઇએ. અગાઉ ખુદ હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટ દ્વારા પણ આવા કિસ્સાઓમાં ગર્ભપાતની મંજૂૂરી અપાયેલી છે. આ કેસમાં હાઇકોર્ટે અગાઉ સુરતની સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ સહિતના નિષ્ણાત તબીબોની પેનલને બાળાની શારીરિક સ્થિતિ અને તેના ભ્રુણની પરિસ્થિતિ અંગેનો તબીબી અહેવાલ રજૂ કરવા હુકમ કર્યો હતો. જો કે, આજે સુરત હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી આવો અહેવાલ રજૂ નહી કરી શકાયો હોવા બાબતે સરકારપક્ષ તરફથી કોર્ટનું ધ્યાન દોરાયું હતું. જેને પગલે હાઇકોર્ટે તેઓને આવતીકાલ સુધીનો સમય આપ્યો હતો. હાઇકોર્ટે કેસની સુનાવણી બુધવારે રાખી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ હાઇકોર્ટે કંઇક આવા જ પ્રકારના બે અલગ-અલગ કિસ્સામાં બળાત્કારનો ભોગ બનેલી સગીરાઓને ગર્ભપાતની મંજૂરી માટેના હુકમો કર્યા હતા.