પુણે ખાતે એક કૉફી ટેબલ બુકના વિમોચન સમયે એનસીપી ચીફ શરદ પવારે ફરી જણાવ્યું હતું કે તેઓ હવે ચૂંટણી લડવા માગતા નથી. પોતાના વિદ્યાર્થીકાળના દિવસો યાદ કરતા તેમણે જણાવ્યું હતું કે એક સમયે પવાર પૅનલ કૉલેજોમાં ચૂંટણી લડતું અને જીતતું હતું. રાજકીય જીવનના ૫૨ વર્ષ પૂરાં થયા, પરંતુ આ ચૂંટણીઓ જ તેનો પાયો હતો. જૂના પુણેના ચિત્રોને દર્શાવતી બુકના વિમોચન પ્રસંગે તેમને પૂછવામાં આવ્યું હતું કે તેઓ પુણેનું પ્રતિનિધિત્વ કરવાનું પસંદ કરશે, ત્યારે તેમણે હવે ચૂંટણી નહીં તેવો જવાબ આપ્યો હતો. વિમોચન સમયે સિક્કીમના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રીનિવાસ પાટીલ પણ ઉપસ્થિત હતા. પવાર અને પાટીલે પુણે સાથે જોડાયેલી પોતાના જૂની યાદો તાજી કરી હતી.
પાનશેત ડેમ તૂટ્યાની યાદોને તાજી કરતા કરતા પવારે કહ્યું કે આ ઘટનામાં ફિઝિકલ એજ્યુકેશનના સરનું ઘર પણ પાણીમાં ડૂબી ગયું હતું, પરંતુ તેમને ઘર કરતાં જર્મની ઑલિમ્પિકમાં મળેલા પદક તણાઈ ગયાનું વધારે દુઃખ હતું, જે તેમની દેશ અને રમત પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે. પાટીલે જણાવ્યું હતું કે અમે ભણવા માટે ગામડામાંથી શહેરમાં આવ્યા ત્યારે ઘરેથી ખર્ચ માટે પૈસા આપવામાં આવતા. આ પૈસા ક્યાં વાપર્યા તેનો હિસાબ ઘરે આપવો પડતો હતો તે માટે જે ડાયરી રાખી હતી તે આજે પણ સાચવી છે. પવારે અગાઉ પણ ચૂંટણી ન લડવાની વાત જાહેરમાં કહી હતી.
પાછલી પોસ્ટ