એઆઇએમઆઇએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી હંમેશા તેમના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે. હવે તેમણે તેલંગાણા ચૂંટણીમાં ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઘોષણાપત્રનો મુદ્દો ઉઠાવ્યો છે.
હકીકતમાં ભાજપે તેમના ઘોષણાપત્રમાં રાજ્યમાં ૧ લાખ ગાયોની વહેંચણી કરવાનું વચન આપ્યું છે, જેના પર ઓવૈસીએ જણાવ્યું હતું કે, શું તેઓ મને પણ ગાય આપશે?
અસદુદ્દીન ઓવૈસીએ પ્રશ્ન કર્યો હતો કે, ભાજપે તેલંગાણા ચૂંટણી માટે પોતાના ઘોષણાપત્રમાં રાજ્યમાં ૧ લાખ ગાયોની વહેંચણી કરવાનું વચન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, શું તેઓ મને પણ એક ગાય આપશે? હું વચન આપું છું કે, હું તેને અત્યંત સમ્માન સાથે રાખીશ, પરંતુ મહત્વનો પ્રશ્ન એ છે કે, શું તેઓ મને આપશે? આ એક મજાકની વાત નથી, આ અંગે વિચારવું જોઇએ.
અગાઉ ઓવૈસીએ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ પર આક્ષેપ કરતા જણાવ્યું કે ભાજપ ભારતને મુસ્લિમ મુક્ત બનાવવા માંગે છે. તેમણે આરોપ લગાવ્યો કે આજે દેશમાં અલ્પસંખ્યકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.