સુપ્રીમના સબરીમાલા મંદિર ચુકાદાનો વિરોધ કરી રહેલી ભારતીય જનતા પાર્ટીને શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે આડે હાથ લીધા છે.
શિવસેનાના મુખપત્ર સામનામાં પોતાની કોલમ ‘રોકઠોક’માં રાઉતે લખ્યું કે,‘સબરીમાલાનો દરવાજો મહિલા માટે ખોલવાનો વિરોધ કરી રહેલી ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રના કોલ્હાપુરની અંબાબાઇ અને શનિ શિંગણાપુર મંદિર મામલે કોર્ટના ચુકાદાની પડખે ઉભી છે. આમ કેમ?’ રાઉતે કહ્યું કે દેશમાં કાલ સુધી મસ્જિદો માટે રાજનીતિ કરવામાં આવી, આજે મંદિરની રાજનીતિ શરૂ થઇ ગઇ છે. જે હિન્દુત્વવાદી સરકાર રામ મંદિર પર ખુલીને બોલવા માટે અચકાય છે તેઓ રામ મંદિરનો મુદ્દો કોર્ટમાં છે એમ કહીને ભાગી જાય છે. ભાજપના જે નેતા સબરીમાલા મંદિરના નિર્ણયને સ્વીકારવા તૈયાર નથી, તેઓ કોર્ટ શ્રદ્ધા અને આસ્થાના મુદ્દા પર છેડછેડા કરી એમ ખુલ્લેઆમ કહે છે. બીજેપીનું આ બેવડું વલણ દંગ કરનારું છે.
રાઉતે પોતાની કોલમમાં આગળ લખ્યું છે કે આપણો દેશ એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે, પરંતુ ધર્મની રાજનીતિ જેટલી આપણે કરીએ છીએ, એટલું બીજુ કોઇ નથી કરતા. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો મુદ્દો ૨૫ વર્ષથી પડતર છે. દરેક ચૂંટણીમાં હવે રામ મંદિર પર રાજકારણ રમવામાં આવે છે, પરંતુ રામ મંદિરનું નિર્મણ થતુ નથી.
ધર્મને નામે રાજનીતિ કરતા તકસાધુ નેતાને આડેહાથ લેતા કહ્યું કે રાજકારણીઓ પોતાની સુવિધા માટે શ્રદ્ધાના મુદ્દા પર કેવી રાજનીતિ કરે છે તેનું વધુ એક ઉદાહરણ કેરળનું સબરીમાલા મંદિર છે. હિન્દુ ધર્મ સાથે સંકળાયેલું આ મંદિર રિવાજો અને પરંપરાઓનું ચુસ્તપણે પાલન કરનારુ છે, અહિયાં મહિલા માટે પ્રવેશ પ્રતિબંધિત છે.