ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ વરુણ ગાંધીએ કહ્યું કે, જ્યારે તેમણે સાંસદોનાં પગાર વધારાનો વિરોધ કર્યો ત્યારે પ્રાઇમ મિનીસ્ટર ઓફિસમાંથી ફોન આવ્યો અને તેમને કહેવામાં આવ્યું કે, કેમ તમે મુશ્કેલીમાં વધારો કરો છો? ભીવાનીમાં આવેલી મોડેલ મહિલા કોલેજમાં બોલતી વખતે વરુણ ગાંધીએ વધુમાં કહ્યું કે, સાંસદોનાં વધતા પગાર વિશે મેં વારંવાર મારો વિરોધ પ્રગટ કર્યો છે અને સાંસદોની સંપતિની વિગતો જાહેર કરવાની વાત કરી છે. પ્રાઇવેટ સેક્ટરમાં લોકો તનતોડ મહેનત કરે છે અને પછી તેમનો પગાર વધે છે. જ્યારે સંસદમાં માત્ર હાથ ઉંચો કરવાથી પગાર વધે છે. દેશમાં શિક્ષણની બદતર સ્થિતિ વિશે વરુણ ગાંધીએ ઉત્તરપ્રદેશનો દાખલો આપતા કહ્યું. ઉત્તરપ્રદેશની શાળાઓમાં ભણવા સિવાયની બધી જ પ્રવૃતિઓ થાય છે. શાળાના પ્રાંગણમાં લગ્નો થાય છે. ધાર્મિક મેળાવડા થાય છે. મૃત્યુ પછીના પ્રસંગો પણ અહીંયા જ થાય છે. બાળકો ક્રિકેટ રમે છે. નેતોઓ શાળામાં પ્રાંગણમાં ભાષણો આપે છે.
વરુણ ગાંધીએ કહ્યું કે, દર વર્ષે શિક્ષણ પાછળ ૩ લાખ કરોડનો ખર્ચ થાય છે. પણ ૮૯ ટકા પૈસા શાળાના મકાનો બનાવવામાં ખર્ચાય છે. આ શિક્ષણ પાછળનો ખર્ચ નથી. આજે દેશમાં ૪૦ ટકા ખેડૂતો ભાગે જમીન ખેડીને ગુજરાન ચલાવે છે. આ ખોટુ છે. કેમ કે, તેમને આ જમીન પર લોન મળતી નથી. પાક નિષ્ફળ જાય તો, તેમને વળતર મળતું નથી. છેલ્લા ૧૦ વર્ષમાં ખેતી પાછળનો ખર્ચ ત્રણગણો વધ્યો છે. જેના કારણે વિદર્ભમાં ૧૭,૦૦૦ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.