કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સુરતની મુલાકાતે આવ્યા છે. દરમિયાન આજે કોંગ્રેસના જન સંપર્ક કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હાજરી આપી હતી. અને જન સંપર્ક કાર્યક્રમની વરાછાના મિની બજાર ખાતેથી શરૂઆત કરવામાં આવી હતી.
સુરતમાં વરાછાના મિની બજાર ખાતેથી કોંગ્રેસના જન સંપર્ક કાર્યક્રમની પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે શરૂઆત કરવામાં આવી છે. મિનિ બજાર ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કોર્પોરેટર સહિત કાર્યકરો મોટી સંખ્યામાં એકઠાં થયા હતા. અને જન સંપર્ક કાર્યક્રમ અંતર્ગત ડોર ટુ ડોર ફંડ ઉઘરાવવાની શરૂઆત કરી હતી. આ પ્રસંગે હાજર રહેલા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વરસાદ ઓછો હોવાની આગાહી છતાં સરકાર ઉંઘતી રહી હતી. માલધારીઓ માટે વ્યવસ્થા થવી જોઇએ. ઘાસચારો અને પાણીની વ્યવસ્થા સરકારે કરવી જોઇએ. અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ તાત્કાલિક સહાય કરવી જોઇએ. ૫૧ તાલુકા અછતગ્રસ્ત જાહેર થયા પણ સરકારનો એક્શન પ્લાન અંગે પ્રશ્ન સર્જાયા છે.
સીબીઆઈમાં ચાલતા વિવાદ મામલે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપની સરકારમાં દેશની સ્વાયત સંસ્થાઓ અમુક લોકોના ઇશારે ચાલે છે. સરકારી સ્વાયત સંસ્થામાં અધિકારી વચ્ચે ગજગ્રાહ ન હોવો જોઇએ. આ દેશ માટે દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે.