આઝાદ હિન્દ ફૌજની સ્થાપનાનાં ૭૫માં વર્ષ પર મોદીએ લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવ્યો
આઝાદ હિન્દ ફૌજની સ્થાપનાના ૭૫મા વર્ષ પર આયોજીત એક કાર્યક્રમમાં પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવ્યો. મોદીએ કહ્યું કે ૭૫ વર્ષ પહેલાં દેશમાંથી બહાર બનેલ આઝાદ હિન્દ સરકાર અખંડ ભારતની સરકાર હતી, અવિભાજીત ભારતની સરકાર હતી. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. મોદીએ ગાંધી પરિવાર પર નિશાન સાંધતા કહ્યું કે એક પરિવારને મોટો બનાવા માટે દેશના અનેક સપૂતો પછી સરદાર પટેલ હોય, બાબા સાહેબ આંબેડકર હોય, તેમની જ જેમ નેતાજીના યોગદાનને ભૂલાવાની કોશિષ થઇ. પીએમ એ દેશના પહેલાં પીએમ પંડિત જવાહરલાલ નહેરૂનું નામ લીધા વગર કટાક્ષ કરતાં કહ્યું કે આઝાદી બાદ જો પટેલ અને બોઝનું નેતૃત્વ મળ્યું હોત તો સ્થિતિઓ અલગ હોત.
પીએમ મોદીએ લાલ કિલ્લા પર આયોજીત કાર્યક્રમમાં કહ્યું કે દેશવાસીઓને આઝાદ હિન્દ સરકારના ૭૫ વર્ષ પૂરા થવા પર અભિનંદન પાઠવું છું. મોદીએ કહ્યું કે આઝાદ હિન્દ સરકાર માત્ર નામ નહોતું. નેતાજીને નેતૃત્વમાં આ સરકારે દરેક ક્ષેત્રમાં નવી યોજના બનાવી હતી. આ સરકારની પોતાની બેન્ક હતી. પોતાની મુદ્રા હતી, પોતાની પોસ્ટ ટિકિટ હતી, ગુપ્તચર સેવા હતી. ઓછા સંસાધનમાં એવા શાસકની વિરૂદ્ધ લોકોને એકત્ર કર્યા જેનો સૂરજ આથમ્યો નહોતો. વીરતાના શીર્ષ પર પહોંચવાનો પાયો નેતાજીએ નાનપણમાં જ નાંખ્યો હતો.
મોદીએ સુભાષ ચંદ્ર બોઝની એ ચિઠ્ઠીનો ઉલ્લેખ કર્યો જે તેમણે કિશોર અવસ્થામાં પોતાની માતાને લખ્યો હતો. મોદીએ કહ્યું કે સુભાષ બાબુએ માતાને ચિઠ્ઠી લખી. તેમણે ૧૯૧૨ની આસપાસ ચિઠ્ઠી લખી હતી. તે સમયે જ તેમાં ગુલામ ભારતને લઇ વેદના હતી. એ સમયે તેઓ માત્ર ૧૫-૧૬ વર્ષના હતા. તેમણે માતાને પત્રમાં પ્રશ્ન પૂછયો હતો કે મા શું આપણા દેશનું દિવસેને દિવસે વધુ પતન થશે. શું આ દુખિયારી ભારત માતાનો એકેય પુત્ર એવો નથી જે સંપૂર્ણપણે પોતાના સ્વાર્થની તિલાંજલિ આપીને પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દે. બોલો માં આપણે કયાં સુધી સૂતા રહીશું?
પીએમ મોદીએ કહ્યું કે આ લાલ કિલ્લા પર આઝાદ હિન્દ ફોજના સેનાની શાહનવાઝ ખાને કહ્યું હતું કે સુભાષ ચંદ્ર બોઝ એવા પહેલાં વ્યક્તિ હતા જેમણે ભારત હોવાનો અહેસાસ તેમના મનમાં જગાવ્યો. એવી શું પરિસ્થિતિઓ હતી જે શાહનવાઝ ખાનને આ વાત કહેવી પડી. કેમ્બ્રીજના પોતાના દિવસોને યાદ કરતાં સુભાષ ચંદ્રે લખ્યું છે કે અમને શીખવાડવામાં આવતું હતું કે યુરોપ ગ્રેટબ્રિટનનું રૂપ છે, આથી યુરોપને બ્રિટનના ચશ્માથી જોવાની આદત છે. આઝાદી બાદ પણ લોકોએ ઇંગ્લેન્ડના ચશ્માથી જોયું. આપણી વ્યવસ્થા, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ, આપણા પાઠ્ય પુસ્તકોને તેનું નુકસાન ઉઠાવું પડ્યું.
પીએમે કહ્યું કે સ્વતંત્રતાના પહેલાં દાયકામાં જો પટેલ અને બોઝનું નેતૃત્વ મળ્યું હોત તો સ્થિતિઓ અલગ હોત. મોદીએ ગાંધી પરિવાર પર નિશાન સાંધતા કહ્યું કે અહીં એક પરિવારને મોટો બનાવા માટે દેશના અનેક સપૂતો સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, નેતાજીના યોગદાનને ભૂલાવાની કોશિષ કરી હતી. મોદીએ કહ્યું કે અમારી સરકારે નેતાજી સુભાષચંદ્ર બોઝના નામ પર રાષ્ટ્રીય સમ્માન આપવાની જાહેરાત કરી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ