સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની છૂટ આપવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી દક્ષિણ ભારતના અતિ ખ્યાતનામ અભિનેતા રજનીકાંતે તેમનો પ્રતિભાવ વ્યક્ત કર્યો છે. રજનીકાંતે જણાવ્યું છે કે વર્ષોથી ચાલી આવતી મંદિરની પ્રણાલીમાં કોઈએ હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. રજનીકાંતે પત્રકારોને જણાવ્યું હતું કે મહિલાઓના સન્માન અંગે બેમત નથી પરંતુ વાત જ્યારે મંદિરની આવે ત્યારે મંદિરની પ્રણાલી, ધાર્મિક માન્યતા અને રિવાજોને અનુસરવા જોઈએ. તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. રજનીકાંતે વધુમાં એ પણ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરવું જોઈએ પરંતુ ધર્મ અને રિવાજો માટે જાગ્ાૃત રહેવું પણ જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે ૧૦ વર્ષથી ૫૦ વર્ષની વય સુધીની માસિક ધર્મમાં આવતી સ્ત્રીઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ નિષેધ છે. જે અંગે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં નિર્ણય જાહેર કરી તમામ વયની મહિલાને મંદિરમાં પ્રવેશ કરવાનો અધિકાર જાહેર કર્યો છે. જેનો કેરળમાં વ્યાપક વિરોધ કરવામાં આવી રહ્યો છે. ૧૭ ઓક્ટોબરથી દર્શન માટે ખુલ્લુ મુકાયેલું સબરીમાલા મંદિરના પરિસરમાં મહિલાઓ ન પ્રવેશે તેની મંદિર બોર્ડ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે. રજનીકાંતે મી-ટૂ અભિયાન સંદર્ભે પણ જણાવ્યું હતું કે પુરુષો દ્વારા પીડિત મહિલાઓ માટે મી-ટૂ અભિયાન ફાયદાકારક છે પરંતુ તેનો દુરુપયોગ ન થાય તેની તકેદારી પણ જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
પાછલી પોસ્ટ