શહેરના જજીસ બંગલો વિસ્તારમાં રહેતા એક બિલ્ડરે બે દિવસ પહેલાં નિકોલમાં આવેલ ભક્તિ બંગલોના ગેટ પાસે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરવાની કોશિશ કરતાં ભારે ચકચાર મચી ગઇ છે. દસ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને બિલ્ડરે કારમાં ત્રણ સ્યુસાઇડ નોટ લખીને ઝેર પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બિલ્ડરને સમયસર હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેઓ બચી ગયા હતા. અલબત્ત, તેમની હાલત હાલ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે બિલ્ડરની સ્યુસાઇડ નોટના આધારે સમગ્ર મામલામાં દસ વ્યાજખોરો વિરૂધ્ધમાં વધુ તપાસ હાથ ધરી છે. થલતેજ-શીલજ રોડ પર આવેલ કસ્તૂરી-૩માં રહેતા અને બિલ્ડર વિપુલભાઇ દેવજીભાઇ પટેલે નિકોલ પોલીસ સ્ટેશનમાં દસ વ્યાજખોરો વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. આ અંગેની વિગત એવી છે કે, વિપુલભાઇના મોટાભાઇ મુકુંદભાઇ પટેલ તેમના પરિવાર સાથે જજીસ બંગલો રોડ પર આવેલ વાઇસરોય વિલેમાં રહે છે અને તે પણ કન્ટ્રક્શનનું કામ કરે છે. મુકુંદભાઇએ તારીખ તા.રપના રોજ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. વિપુલભાઇ તા.રપ ના રોજ તેમની થલતેજ ખાતે આવેલી ઓફિસમાં હાજર હતા ત્યારે નિકોલ વિસ્તારમાં આવેલ ભક્તિ બંગલોમાં રહેતા તેમના પિતરાઇ ભાઇ સુહાગભાઇનો તેમના પર ફોન આવ્યો હતો કે મુકુંદભાઇ ઠંડાં પીણાંમાં કંઇક મિલાવટ કરીને પી ગયા છે અને વોમિટ કરી રહ્યા છે. મુકુંદભાઇએ તેમની કારમાં બેસીને ભક્તિ બંગલોની બહાર ઝેરી દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. મુકંદભાઇને તાત્કાલિક બાપુનગર ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની તબિયત વધુ લથડતાં તેમને આઇસીયુમાં રાખવામાં આવ્યા હતા. ગઇકાલે વિપુલભાઇ સુહાગભાઇના બંગલે ફ્રેશ થવા માટે ગયા હતા ત્યારે તેમને ડ્રાઇવર જલારામ દેસાઇને કાર વોશ કરવા માટે બોલાવ્યા હતા. જલારામ દેસાઇ વિપુલભાઇની કાર વોશ કર્યા બાદ મુકુંદભાઇની કાર વોશ કરતા હતા તે સમયે કારમાંથી તેમને ત્રણ ચીઠ્ઠીઓ મળી હતી. મુકુંદભાઇની કારમાંથી મળી આવેલી ત્રણ ચીઠ્ઠીઓ જલારામભાઇએ વિપુલભાઇને આપી હતી. વિપુલભાઇએ ચીઠ્ઠી વાંચતાં તે સ્યુસાઇડ નોટ હતી. મુકુંદભાઇએ ઝેર પીતાં પહેલાં સ્યુસાઇડ નોટ લખી હતી કે જય સ્વામિનારાયણ. હું મુકુંદભાઇ દવેજીભાઇ ચાવડીયા આપઘાત કરું છું, કારણ કે મારે લેણાવાળાની બહુ જ મગજમારી છે તે લોકોને મૂડી કરતાં વ્યાજ બે-ત્રણ ગણું વ્યાજ આપી દીધેલ છે. હવે મારી પાસે કશુ જ નથી મારી મિલકત આપવા માટે પણ તે લોકોને કહ્યું હતું પણ એ લોકો માનતા નથી અને ફાવે તેવી ઉઘરાણી કરે છે. આ બધાના ફોન નંબર મારા ફોનમાં છે. મનન કાબરિયા, ભૂપત સાંગાણી, અમન બાલાણી, ઇશ્વર દેસાઇ, પ્રીતેશ નવસારી, આશાબહેન કંજરી, પ્રવીણ સથાવારાને ૩-પ ટકા વ્યાજ આપ્યું છે, બીજા છે પણ ઓછું દબાણ કરે છે. મારે આ લોકોને આપેલા વ્યાજમાં પૂરું કરવું હોય તો વાંધો નથી, નહીંતર મારા પરિવાર કે કુંટુબીજનોને હેરાન કરતા હોવાથી આ પગલું ભરેલ છે. આ સિવાય બીજી બે ચીઠ્ઠીઓમાં મુકુંદભાઇએ નરોડાના ધીરુ મોહન ભંડેરીએ ૬૦ લાખ રૂપિયો તોડ કરાવ્યો હોવાનું લખ્યુ છે અને પત્નીના દાગીના ગીરવે મૂકીને વ્યાજ ચૂકવ્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. મુકુંદભાઇએ ત્રણ સ્યુસાઇડ નોટમાં દસ લોકના નામ લખ્યા છે. વિપુલભાઇને સ્યુસાઇડ નોટ મળતા નિકોલ પોલીસે મનન કાબરીયા (રહે. સાવરકુંડલા), ભૂપતભાઇ સાંગાણી (રહે નિકોલ), અમનભાઇ વાલાણી (રહે. બોડકદેવ), ઇશ્વરભાઇ દેસાઇ (રહે. મેમ્કો), પ્રિતેશભાઇ (રહે. નવસારી), આશાબહેન (રહે. નડીયાદ), પ્રવીણભાઇ સથવારા (રહે. વિરાટનગર), ધીરુભાઇ ભંડેરી (રહે. નરોડા), અશ્વિનભાઇ સરધારા (રહે. હીરાવાડી) અને જીતેન્દ્રસિંહ ઝાલા (રહે. ઓઢવ) વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે. વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાની કોશિશ કરવાનો છેલ્લા દસ દિવસમાં આ ત્રીજો બનાવ નોંધાયો છે.
આગળની પોસ્ટ