સમાજમાં મોટી ઉંમરના વડીલોની સારવાર અંગે પરિવારમાં જાગૃતતા વધી છે પરંતુ જયારે મરણપથારીએ પડેલા ઘરના મોભી કે વડીલને જીવાડવાની અને તેમની છત્રછાયાને સલામત રાખવાની ઉમદા ભાવના અને તબીબ પર વિશ્વાસ મુકીને જોખમી સારવાર કરવાની સંમતિ પરિવારજનો દર્શાવે ત્યારે તબીબ પણ અનુભવ અને કુશળતાથી નવજીવન આપવામાં પાછી પાની કરતાં નથી. આવા જ એક કિસ્સામાં રાજસ્થાન હોસ્પિટલનાં ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડીયોલોજીસ્ટ ડો.હિતેશ શાહે ગંભીર અને મલ્ટિપલ કોમ્પિલકેશન્સ ધરાવતાં અને મોતનાં મુખમાં ધકેલાયેલા ૯૮ વર્ષીય દર્દીમાં પરમેનન્ટ પેસમેકર મશીન(પીપીઆઇ) ઇમ્પ્લાન્ટ કરી(મૂકી) તેમને નવજીવન બક્ષ્યુ હતું. તબીબી ઇતિહાસમાં ભારે ચર્ચા જગાવનાર આ રાજ્યનો પ્રથમ અને અસાધારણ કેસ હોઇ તેને મેડિકલ જર્નલમાં પણ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતા પંચાલ પરિવારના મોભી અને વયોવૃધ્ધ ૯૮ વર્ષીય દાદા મણિલાલ પંચાલની આટલી જૈફ વયે પણ સારવાર કરાવી તેમના ચારેય સંતાનો અને પરિવારજનોએ આજના સમાજને પણ માતા-પિતા અને વડીલોની સેવા-કાળજી માટેની અનોખી પ્રેરણા પૂરી પાડી હતી. તબીબી ઇતિહાસના આ અસાધારણ કિસ્સા અંગે શાહીબાગ ખાતેની રાજસ્થાન હોસ્પિટલનાં ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડીયોલોજીસ્ટ ડો. હિતેષ શાહે જણાવ્યું હતું કે, ૯૮ વર્ષીય મણિભાઇ પંચાલનો કેસ એટલા માટે અત્યંત ક્રિટીકલ અને પડકારજનક હતો કારણ કે, એક તો તેમની ઉમંર ૯૮ પૂર્ણ અને ૯૯ રનીંગ છે. ઉમંરની સાથે સાથે તેમને હાર્ટ એટેકને લઇ હાર્ટની નબળાઇ, કિડની ફેલ્યોર, ન્યુમોનિયા અને ડાયાબીટીસ જેવી ગંભીર બીમારીઓ હોઇ તેમનું ઓપરેશન અને સારવાર બહુ પડકારજનક હતા. ગત ૫મી જુલાઇનાં રોજ પરોઢિયે ૫.૦૦ વાગ્યે ૯૮ વર્ષીય મણિભાઇ પંચાલને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લવાયા હતા, દર્દીની તપાસ કરતાં તેમનો શ્વાસ બરાબર ચાલતો ન હતો, અને હૃદયનાં ધબકારા ૩૦થી પણ ઓછા હતા. જયારે ઓક્સિજનનું પ્રમાણ ૭૦ ટકાથી પણ ઓછું હતું. આ સંજોગોમાં મણિભાઇ પંચાલને બચાવવા લગભગ અશકય હતું. પરંતુ, મણિભાઇનાં પરિવારે આવીને કહ્યું કે, અમને તમારી સારવાર પર વિશ્વાસ છે અને તમારે કોઇપણ ભોગે બચાવવાના છે, જેથી પરિવારનો મારા પર વિશ્વાસ જોઇને મેં અને મારી ટીમ દ્વારા તાત્કાલિક તેમની સારવાર શરૂ કરી, જેમાં પ્રથમ હૃદયનાં ધબકારા વધારવા માટે ટેમ્પરરી પેસમેકર મશીન(ટીપીઆઇ) મુકવામાં આવ્યું, અને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યાં. ત્યાારબાદ તેઓ ૨૪ કલાકે ભાનમાં આવ્યાં હતા. ત્યારબાદ બે દિવસ બાદ વેન્ટીલેટર કાઢી લેવાયું અને તેમની આ સ્થિતિનાં કાયમી નિરાકરણ માટે આખેર ભારે સાવચેતી, કાળજી અને સાવધાની સાથે પરમેનન્ટ પેસમેકર મશીન સફળતાપૂર્વક મૂકવામાં આવ્યું અને તેમને નવજીવન બક્ષવામાં આવ્યું હતું એમ ડો.હિતેશ શાહે ઉમેર્યું હતું.