રાષ્ટ્રના ૭૨ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાના મુખ્યમથક રાજપીપલામાં શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતેના ગ્રાઉન્ડમાં યોજાયેલા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ રાષ્ટ્ર ધ્વજને લહેરાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. ત્યારબાદ શ્રી નિનામાએ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાથે પોલીસની ખૂલ્લી જીપમાં દેશભક્તિના ગીતો અને પોલીસ બેન્ડની મધુર સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ, એસ.આર.પી., હોમગાર્ડઝ વગેરે જેવી પ્લાટુનોની પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું. રાજપીપલા ખાતે ખીચોખીચ વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં શ્રી નિનામાએ રાજપીપલાના નગરવાસીઓ-નર્મદા જિલ્લાવાસીઓ સહિત ગુજરાતની ગૌરવવંતી પ્રજાને સ્વાતંત્ર્ય પર્વના વધામણા સાથે આઝાદી દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ઉપસ્થિત મહાનુભાવોનું અભિવાદન પણ ઝીલ્યું હતું.
જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ વિશાળ સંખ્યામાં ઉમટેલી માનવમેદનીએ સંબોધતાં જણાવ્યું હતું કે, દેશને આઝાદી અપાવવામાં મહાત્મા ગાંધીબાપુ, સરદાર વલ્લભભાઇ પટેલ સહિતના અનેક નામી-અનામી રાષ્ટ્રપુરૂષોએ તેમના જીવનની આપેલી આહુતિ અને યોગદાન ભારતના ઇતિહાસમાં અમર રહેશે.
શ્રી નિનામાએ નાગરિકોને એકતા અને સમભાવ સાથે રાષ્ટ્ર ઘડતરમાં શાસનના સહયોગી અને વિકાસ પ્રક્રિયામાં સહભાગી બનવા અનુરોધ ખાસ અનુરોધ કરતાં વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત વિકાસની નવી ઉંચાઇઓ સર કરી રહ્યું છે, ત્યારે જિલ્લાના સર્વાંગી વિકાસ થકી પ્રગતિશીલ ગુજરાતના મિશનને વધુ વેગવાન બનાવી મજબૂત રાષ્ટ્રના નિર્માણની ભાવના સાથે પ્રજાના સર્વાંગી કલ્યાણ માટેના પ્રયાસોમાં પરસ્પર સદભાવ માટે પ્રેરક બનીને આજના સ્વાતંત્ર્ય પર્વે ઉપસ્થિત સૌ કોઇને “એક ભારત – શ્રેષ્ઠ ભારત” ના નિર્માણની દિશામાં સંકલ્પબધ્ધ બનવાની સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વધુ સાર્થક બનાવવાની દિશાના “ટીમ નર્મદા” ના પ્રયાસોમાં સૌ કોઇને તેમના સહયોગ-યોગદાન માટે તેઓશ્રીએ આહવાન કર્યું હતું.
સર્વાંગી વિકાસની દિશામાં નર્મદા જિલ્લાની અવિરત આગેકૂચની સાથે સામુદાયિક તેમજ આંતરમાળખાકીય સુવિધાઓ માટે જંગલની જમીનના ભોગવટાના અધિકારપત્રો, ગ્રામ સ્વરાજ અભિયાન અન્વયે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં માત્ર એક જ માસમાં ૩૦ હજાર ગેસ કનેક્શન અને ઉજાલા યોજના સહિત અન્ય ૭ જેટલી ફ્લેગશીપ યોજનાની ૧૦૦ ટકા લક્ષ્યાંક સિધ્ધિ સાથે નર્મદા જિલ્લો અગ્રેસર રહ્યોં છે, તેમ જણાવી શ્રી નિનામાએ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળસંચયના વિવિધ કામો થકી ૩૫ કરોડ લીટર જળસંગ્રહ શક્તિમાં વધારો કરાયો હોવાનું પણ ખાસ ઉમેર્યું હતું.