શહેરમાં દુષ્કર્મના બનાવો વધી રહ્યાં છે. ત્યારે વધુ એક બનાવમાં કૌટુંબિક મોટો બાપુએ જ ધાર્મિક વિધિના બહાને પરિણીત ભત્રીજીને એકાંતમાં બોલાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. મહિલા પોલીસ મથકમાં ભોગ બનનાર પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ધરમનગર બ્લોક ૧૭, ક્વાર્ટર ૫૦૪માં રહેતા તેના કૌટુંબિક મોટા બાબુ યોગેશ ઉર્ફે ભીખુ કાશીરામ કુબાવતનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યાં મુજબ, કૌટુંબિક મોટા બાપુ ધાર્મિક વિધિ, જોશ જોવાનું કામ કરતાં હોય પરિણીતા તેની મુશ્કેલી વર્ણવી હતી. જેથી યોગેશ ઉર્ફે ભીખુની ખુદ તેની પરિણીત ભત્રીજી પર નજર બગડી હોય ગત તા.૩૧/૫ના ભત્રીજીનાં ઘરે બપોરનાં સમયે ગયા હતા. અહીં ભત્રીજીને ધાર્મિક વિધિ કરવાના બહાને એકાંત રૂમમાં બોલાવી તું તારા પતિને નુકસાન કરે છે તેમ કહી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં બીજી વખત યોગેશ ઉર્ફે ભીખુએ તેની ભત્રીજીને તેના ઘરે બોલાવી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. કૌટુંબિક મોટા બાપુએ આચરેલા કૃત્યની પરિણીતાએ પરિવારને વાત કરતા અંતે મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પીએસઆઇ એચ.ડી.સોલંકીએ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
આગળની પોસ્ટ