દિલ્હીના ચીફ સેક્રેટરી અંશુ પ્રકાશ સાથે કથિત મારપીટ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. મારપીટ અને ગેરવર્તન કરવાના કેસમાં કેજરીવાલ સહિત ૧૩ લોકોને આરોપી બનાવવામાં આવ્યાં છે.
દિલ્હી પોલીસની આ ચર્જશીટમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને અન્ય ૧૧ ધારાસભ્યોના નામ શામેલ છે. દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટમાં કોર્ટ નંબર ૧૬માં આ મામલે સીલ કવરમાં ૧૫૩૩ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
સૂત્રોના જણવ્યા પ્રમાણે આ કેસમાં કેજરીવાલ સરકારના તત્કાલિન એડવાઈઝર વીકે જૈનને મુખ્ય સાક્ષી બનાવવામાં આવ્યા છે. તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, જ્યારે અંશુ પ્રકાશની મારપીટ શરૂ થઈ ત્યારે તેમના ચશ્મા જમીન પર પડી ગયા હતાં.
દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશને મુખ્યમંત્રી નિવાસસ્થાન પર અડધી રાત્રે બેઠક માટે બોલાવવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની સાથે કેજરીવાલની હાજરીમાં જ મારપીટ કરવામાં આવી હોવાના આરોપ લાગ્યા છે. સમગ્ર ઘટના ૧૯ ફેબ્રુઆરીની છે. આ કેસની તપાસ કરતા પોલીસને સીસીટીવી કેમેરા ઘણા પાછળ હોવાનું જાણવા મળ્યું હતું.
આ મામલે બે દિવસ બાદ સિવિલ લાઈન્સ પોલીસે વીકે જૈનની પુછપરછ હાથ ધરી હતી. શરૂઆતમાં તો જૈન કંઈ જ સ્પષ્ટ જણાવી રહ્યાં નહોતા પરંતુ બાદમાં મેજિસ્ટ્રેટ સામે બંધ રૂમમાં પુછપરછ કરવામાં આવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યાર બાદ પોલીસે તેમને સરકારી સાક્ષી બનાવવાનો નિર્ણય લીધો હતો.