ઉદ્યોગ અને રાજકારણ ક્ષેત્રે ચર્ચાસ્પદ અમર સિંહ, લોકસભાની ચૂંટણી પહેલાં મુલાયમ સિંહ યાદવના ભાઈ શિવપાલ સાથે મળીને પોતાના રાજકીય પક્ષની રચના કરી શકે છે. ઉત્તર પ્રદેશના સપાના અનેક નેતાઓનું કહેવું છે કે નવા રાજકીય પક્ષની રચના કરીને તેઓ અખિલેશ યાદવને પાઠ ભણાવીને તેમના પક્ષના મતો ખેંચી લેવાનું કામ કરશે. ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં રાજ્યની જે લોકસભાની સીટ પર સપા પહેલા અને બીજા નંબરે હતી, બસપ બીજા નંબરે હતી એ સિટો પર અમર-શિવપાલનો પક્ષ પોતાના ઉમેદવારો ઊભા રાખીને પ્રચાર અને ખર્ચા કરીને ઉક્ત બંને પક્ષના ઉમેદવારોને હરાવવાની કામગીરી કરશે.
કહેવાય છે કે સત્તા પક્ષના એક મોટા નેતા સાથે હરિયાણામાં એક સ્થળે બંનેએ ગુફ્તગુ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં લખનઊમાં એક સમારંભમાં જ્યારથી અમરસિંહનાં વખાણ કર્યાં ત્યારથી ઘણાં રાજકારણીઓની અમરસિંહની હિલચાલમાં ઉત્સુકતા વધી ગઈ છે. અમર સિંહ અને શિવપાલની પહેલ વિશે ઉ.પ્ર. ના ભૂતપૂર્વ પ્રધાન સુરેન્દ્ર સિંહનું કહેવું છે કે રાજનીતિમાં કોણ ક્યારે શું કરશે ક્યારે કોઈના મિત્ર બને ક્યારે દુશ્મન બની જાય કોને લાભ આપે, કોને નુકસાન પહોંચાડે તે બાબતે કોઈ કશું કહી શકે નહીં. અમર સિંહ બહુ પહોંચેલી હસ્તી છે. શિવપાલ તેમના સાથી હોવાથી તેમના વિશે કશું કહેવાનું મુશ્કેલ છે. તેમના વિશે તો અખિલેશ, મુલાયમ સિંહ, અનિલ અંબાણી, અમિતાભ બચ્ચન જ બહેતર કહી શકે છે. પરંતુ બીએચયુ વિદ્યાર્થી સંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશ કૉંગ્રેસના પદાધિકારી અનિલ શ્રીવાસ્તવના કહેવા પ્રમાણે એવું લાગે છે કે અમર સિંહ અને ભાજપ વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. લખનઊમાં રાજ્ય સરકારના એક કાર્યક્રમમાં મોદીએ અમરસિંહના કરેલા વખાણથી એ મામલે ચર્ચા થઈ રહી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ