કાશ્મીરમાં ટૂંક સમયમાં ફરી ગઠબંધન સરકારની રચનાનો માર્ગ મોકળો થવાનો છે. ભાજપના નેતા ભલે ગમે તેટલો ઈનકાર કરે પણ સત્તાની ભૂખને ખાતર ભાજપએ ફરી એકવાર પીડીપી સાથે હાથ મેળવવાની કવાયત આદરી દીધી છે. આ વખતે ફરક એટલો જ છે કે ગઠબંધન મહેબૂબા મુફ્તી વિનાનું હશે અને મુખ્ય પ્રધાન કોઈ ત્રીજા પક્ષનો એટલે કે પીડીપી કે ભાજપના નહીં હોય. જો કે ભાજપ અત્યારે આ પત્તું ખોલવા રાજી નથી. ગઠબંધનના મુદ્દે રામ માધવની પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતાઓ, ભૂતપૂર્વ નાયબ પ્રધાન કવિન્દ્ર ગુપ્તા, સત શર્મા, સુનીલ શર્મા, રાજીવ જસરોટિયા અને બાલી ભગત સાથે આશરે દોઢ કલાક સુધી મૅરેથોન બેઠક ચાલી હતી. પીડીપીનાં અધ્યક્ષા મુફ્તીના નેતૃત્વના મુદ્દે ભાજપમાં મતભેદ હોવાથી પીડીપી તરફથી મહેબૂબા વિના કોઈ ઉમેદવારની દરખાસ્ત આવે તો આગળ વાત ચાલી શકે તેમ છે.
રામ માધવના આગમન પછી રાજ્યમાં ભાજપ દ્વારા ફરીવાર ગઠબંધન સરકાર બનવાની જોરદાર અટકળો વહેતી ન થઈ હોત જો ગુરુવારે રાતે પીપલ્સ કૉન્ફરન્સના અધ્યક્ષ સજજાદ અહમદ ગની લોનને મળવા ઉપરાંત ગુરુવારે સવારે નેશલિસ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટના અધ્યક્ષ અને વિધાયક હકીમ મોહમ્મદ યાસીન સાથે એક કલાક ચર્ચા કરી ન હોત. તેઓ છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ત્રીજા ફ્રન્ટનું ગઠન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવની કાશ્મીરની મુલાકાતને લીધે કાશ્મીરમાં ફરી સત્તાની અટકળો જન્મી છે. રામ માધવે ગુરુવારે શ્રીનગરમાં ભાજપના નેતાઓને જ નહીં પણ બીજા પક્ષના અમલદારો અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને રાજ્યમાં સંવિધાનની ૩૫ એ કલમના મુદ્દે ઊભી થયેલી પરિસ્થિતિની ચર્ચા કરી હતી. જો કે ભાજપ તરફથી કોઈ જાહેરાત કરવામાં નથી આવી તેમ છતાં કહેવાય છે કે અમરનાથ યાત્રાની પૂર્ણાહુતિ થયા પછી ભાજપ રાજ્યમાં ફરી સરકારની રચના કરવાની કવાયત આદરશે. આવી પરિસ્થિતિમાં જોવાનું એ રહે છે કે ભાજપ સત્તા સુખ ભોગવવા ખાતર ક્યાં સુધી જઈ શકે છે.
પાછલી પોસ્ટ