દેશમાં ભીડ દ્વારા માર મારી હત્યા કરવાની ઘટનાઓ ઘટી છે ત્યારે શનિવાર રાત્રે ગુજરાતના દાહોદમાં પણ ચોરીના આરોપમાં લોકોએ ૨૨ વર્ષના એક યુવકની હત્યા કરી છે. આ સમગ્ર મામલે રાજ્ય સરકારે જિલ્લા એસપી પાસેથી રિપોર્ટ માગ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદના કાળી મહુડી ખાતે ૧૫થી ૧૭ જેટલા શખ્સ ધાડ પાડવા માટે ગયા હતા. જ્યાં ગામ લોકો જાગી જતા ટોળાએ બે યુવકોને ઝડપી લીધા હતા અને લાકડી, ધારિયા સહિતના હથિયારોથી ખૂબ જ માર માર્યો હતો. જેમાં એકનું મોત નિપજ્યુ હતું જ્યારે બીજાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
ભીડ દ્વારા માર્યા ગયેલ યુવકનું નામ અજમલ વહોનિયા હોવાનું અને ધાનપુર તાલુકાના ઉંડારકા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે. અજમલ પર ચોરી, તોફાન સહિતના ૩૨ કેસ દાખલ છે. જ્યારે અન્ય ઘાયલ યુવકનું નામ ભારુ માથુર છે અને તે ગરબાડા તાલુકાના ખુજરિયા ગામનો રહેવાસી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
દાહોદના કાળી મહુડી ગામે લૂંટના આરોપસર ટોળાએ માર મારવાની આ ઘટનામાં રાજ્ય સરકારે ચિંતા વ્યક્ત કરી ગૃહ વિભાગ દ્વારા એસપી પાસે સમગ્ર મામલે રિપોર્ટ માગવામાં આવ્યો છે.
સરકારે હવે ટાસ્ક ફોર્સના માળખા, અધિકારીઓની નિમણૂંક અને તે અંગે કાયદા વિભાગની સલાહ લેવાની શરુ કરી હોવાનું મીડિયા રિપોટ્ર્સમાં જણાવવામાં આવ્યું છે.
આગળની પોસ્ટ