સામાજિક અને અધિકારીતા મંત્રી રામદાસ આઠવાલેએ એવું નિવેદન કરીને ચર્ચા જગાવી દીધી છે કે, જો વાયએસઆર કોંગ્રેસ પાર્ટી એનડીએ સાથે હાથ મિલાવશે તો તેમની પાર્ટીના વડા વાયએસ જગનમોહન રેડ્ડીને ૨૦૧૯ની ચૂંટણી બાદ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બનાવવામાં મદદ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આંધ્રના મુખ્યમંત્રી બનવાની સાથે સાથે એનડીએ આંધ્રપ્રદેશને ખાસ દરજ્જો આપવાના સંદર્ભમાં પણ વિચારણા કરશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, જો ભાજપ-રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા અને જગન મોહન રેડ્ડીની પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે તો ભાજપ અને આરપીઆઈ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે જગન મોહનને ગોઠવવા માટે મદદરુપ થશે. સામાજિક ન્યાય મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવેલા જુદા જુદા કાર્યક્રમોની સમીક્ષા માટે પહોંચેલા મંત્રીએ કહ્યું હતું કે, ટીડીપીના વડા ચંદ્રબાબુ નાયડુએ એનડીએ સાથે છેડો ફાડીને મોટી ભુલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશને ખાસ દરજ્જો આપવા વિચારણા કરી શકે છે. એનડીએમાં ટીડીપીને રહેવાની જરૂર હતી. નાયડુ પણ એનડીએને ટેકો આપવાના સંદર્ભમાં તેમના નિર્ણય અંગે ફેરવિચારણા કરી શકે છે. જગન મોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆર કોંગ્રેસ ભાજપ સાથે હાથ મિલાવનાર છે તેવા નાયડુના આક્ષેપ બાદ રામદાસ અઠવાલેનું નિવેદન ખુબ મહત્વપૂર્ણ છે. સુત્રોના કહેવા મુજબ જગન મોહન અને વાયએસઆરના અન્ય નેતાઓ ભાજપની લીડરશીપના સંપર્કમાં છે. જાણકાર લોકોનું કહેવું છે કે, યોગ્ય સમયે એનડીએમાં સામેલ થવા અને ગઠબંધનનો હિસ્સો બનવા અંગે નિર્ણય લેવામાં આવશે. આંધ્રપ્રદેશની રાજનીતિ હાલમાં ગરમ બની રહી છે. કારણ કે, નાયડુ કોંગ્રેસની તરફેણમાં દેખાઈ રહ્યા છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ