Aapnu Gujarat
ગુજરાત

ગોમતીપુરમાં પિસ્તોલ-બોંબ મળતાં ચકચાર

આવતીકાલે તા.૧૪મી જૂલાઇ શનિવારે શહેરમાં ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રા નીકળનાર છે ત્યારે આજે આગલા દિવસે જ અચાનક શહેરના ગોમતીપુર વિસ્તારમાં એક બુટલેગરના ઘરમાંથી પિસ્તોલ, પાઇપ બૉમ્બ, સુતળી બોમ્બ અને કેરોસીનની બોટલ સહિતનો જથ્થો મળી આવતાં ભારે સનસનાટી મચી ગઇ હતી. ઘાતક વિસ્ફોટકનો જથ્થો મળતાં પોલીસતંત્ર દોડતુ થઇ ગયું હતું પરંતુ બીજીબાજુ, સમગ્ર મામલામાં એફએસએલની ટીમે તપાસ કરતાં વિસ્ફોટક સામાનમાં ફટાકડાનો પાઉડર મળ્યો હોવાનો ખુલાસો થયો છે, જેને પગલે હવે સમગ્ર કેસમાં નવો જ વળાંક આવ્યો છે. પારિવારિક ઝઘડામાં કોઇએ બુટલેગર વિશે પોલીસને ખોટી બાતમી હોવાની આશંકા સેવાઇ રહી છે અને તેથી પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. એચ ડિવિઝનના એસીપી ભગીરથસિંહ ગોહિલ તેમજ ગોમતીપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી. બી. ટંડેલ સહિતના સ્ટાફની ટીમે ગોમતીપુરમાં રાજપુર ટોલનાકા પાસે રહેતા મોહંમદ રફીક ઉર્ફે ગુડ્ડુ નામના બુટલેગરના મકાનમાં દરોડા પાડ્‌યા હતા. પોલીસને ધાબા પરથી પાઇપ બોમ્બ, સૂતળી બોમ્બ, એક ૧ર બોરની પિસ્તોલ અને કેરોસીન ભરેલી બોટલ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. ગુડ્ડુ અને તેનાં પરિવારજનોની અટકાયત કરી ગોમતીપુર પોલીસ સ્ટેશન લઈ જવાયાં હતા. પોલીસ તપાસમાં એવી માહિતી સામે આવી હતી કે, ગુડ્ડુ દારૂના ધંધામાં સંડોવાયેલો છે અને તેણે થોડાક વર્ષ પહેલાં એક યુવકની પણ હત્યા કરી હતી. ગુડ્ડુ છેલ્લાં ઘણાં વર્ષથી દારૂનો ધંધો કરે છે. થોડાંક વર્ષ પહેલાં ગુડ્ડુ અને તેના સાગરીતોએ ગોમતીપુરમાં જહીરલલ્લા નામની વ્યકિતની હત્યા કરી હતી. ગુડ્ડુ પહેલાં કૃખ્યાત બુટલેગર હુસેનના અડ્ડા પર નોકરી કરતો હતો, જ્યાં તેને હુસેનની પુત્રી સાથે પ્રેમ થઇ જતાં લગ્ન કરી લીધાં હતાં. લગ્ન બાદ ગુડ્ડુએ સસરા હુસેન વિરુદ્ધ જઇને મોટા પાયે દારૂનો ધંધો શરૂ કર્યો હતો. ગુડ્ડુએ દારૂનો ધંધો શરૂ કરતાં હુસેન તેમજ અન્ય બુટલેગરોનો તે દુશ્મન બની ગયો હતો. એફએસએલ દ્વારા હાથ ધરાયેલી તપાસ અને તેમાં વિસ્ફોટકોમાં ફટાકડાનો પાવડર હોવાના થયેલા ખુલાસા બાદ કેસમાં નવો વળાંક આવ્યો છે. બુટલેગર ગુડ્ડુ સાથે થયેલા પારિવારીક ઝઘડામાં પોલીસને ખોટી બાતમી આપી હોવાની પણ આશંકા સેવાઇ રહી છે, તેથી હવે પોલીસે આ પ્રકરણમાં તે દિશામાં પણ સઘન તપાસ આરંભી છે. જો કે, પોલીસે સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઇ રથયાત્રાના રૂટમાં ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલીંગ અને સુરક્ષા વ્યવસ્થા વધુ અસરકારક બનાવી દીધી છે.

Related posts

કેન્દ્રીય વિદ્યાલય સંગઠન આર્ટ એક્ઝિબિશન શરૂ

aapnugujarat

માયાબેનને બચાવવા આવ્યો છું એ વાત સાચી નથી : શાહ

aapnugujarat

સુત્રાપાડા તાલુકા કોળી સમાજ દ્વારા 12 મા સરસ્વતી સન્માન સમારોહ

editor

Leave a Comment

UA-96247877-1