નરોડા ગામના રાયોટીંગ કેસમાં બચાવપક્ષની જુબાનીનો તબક્કો પૂરો થયા બાદ પ્રોસીકયુશન પક્ષ તરફથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉલટતપાસ કરવામાં આવી હતી અને તેમાં કેટલાક ફેરવીતોળવીને પ્રશ્નો પૂછાયા હતા પરંતુ અમિત શાહે તમામ પ્રશ્નોનો સાફ શબ્દોમાં અને ભારે મક્કમતા સાથે જવાબો આપ્યા હતા. પ્રોસીકયુશન પક્ષ તરફથી ઉલટતપાસમાં એવો મહત્વનો પ્રશ્નો પૂછાયો હતો કે, તમે અને માયાબહેન એક જ પક્ષના હોવાથી તમે તેમને બચાવવા માટે જુબાની આપવા આવ્યા છો? જેના પ્રત્યુત્તરમાં અમિત શાહે સાફ સાફ શબ્દોમાં પ્રોસીકયુશનપક્ષના સ્પેશ્યલ પીપીને સુણાવી દીધું હતું કે, એ વાત ખરી નથી કે, માયાબહેન અને હું બંને એક જ પક્ષના કાર્યકરો હોવાના કારણે તેમને બચાવવા માટે હું આજે જુબાની આપવા આવ્યો છું. શાહે પોતાની ઉલટતપાસમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, તેમણે વિધાનસભા ગૃહમાં અને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે માયાબહેનને જોયા તે દરમ્યાન તેઓ કયાં હતા તેની મને ખબર નથી. પ્રોસીકયુશનપક્ષ તરફથી કરાયેલી ઉલટતપાસમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શબ્દશઃ આ પ્રમાણે જણાવ્યું હતું કે, “ગત તા.૨૭-૨-૨૦૦૨નાદિવસે અમારી વિધાનસભાનું સત્ર ચાલુ હતુ અને તે દિવસે અમારી કાર્યવાહી ચાલી રહી હતી તે દરમ્યાન ૧૧.૩૦થી ૧૨.૦૦ વાગ્યાના અરસામાં ગૃહમંત્રીએ ગોધરા બનાવ બાબતની જાહેરાત કરી હતી,તે વખતે મને ગોધરા બનાવની જાણ થઇ હતી. એ વાત ખરી છે કે, તા.૨૭-૨-૨૦૦૨ના દિવસે વિશ્વિ હિન્દુ પરિષદે તા.૨૮-૨-૨૦૦૨ના રોજ બંધનું એલાન જાહેર કર્યું હતું. એ વાત ખરી છે કે, તા.૨૭-૨-૨૦૦૨ના રોજ બપોર પછી અમદાવાદમાં તેમ જ ગુજરાતમાં કોમીતોફાનો શરૂ થઇ ગયા હતા. એ વાત ખરી છે કે, ગોધરા બનાવમાં અવસાન પામેલાના મૃતદેહ ગોધરાથી અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે તા.૨૮-૨-૨૦૦૨ના રોજ વહેલી સવારે ૩-૩૦ વાગ્યા જેવા લાવી દીધેલા. એ વાત ખરી છે કે, તા.૨૮-૨-૨૦૦૨ના રોજ વિધાનસભા જતા અગાઉ હું સોલા સિવિલ હોસ્પિટલ ગયો ન હતો. એ હું કહી શકું નહી કે, તા.૨૮-૨-૨૦૦૨ના દિવસે વિધાનસભા બેઠક સવારના ૮-૩૦ વાગ્યે ચાલુ થઇ ૮-૪૦ વાગ્યે બંધ થઇ ગયેલી. હું ગાંધીનગર વિધાનસભાથી સીધો સોલા સિવિલ હોસ્પિટલ ગયો હતો, બીજે કયાંય ગયેલો નહી. એ વાત ખરી નથી કે, હું સોલા સિવિલમાં એક બાંકડા પર બેઠો હતો ત્યારે ૧૦.૩૦ વાગ્યાના અરસામાં માયાબહેને સોલા સિવિલ ખાતે પ્રવેશ કરેલો. એ વાત પણ કરી નથી કે, તે વખતે મને અનએ માયાબહેનને પોલીસવાળા લોકોમાં આક્રોશ હોઇ કોર્ડન કરી અમને બંનેને લઇ ગયેલા. તે વખતે મને એકલાને કોર્ડન કરીને લઇ જતા હતા. જયારે હું ત્યાંથી ઘેર જવા પાછો વળ્યો ત્યાંથી બહાર નીકળીને ગોતા ચોકડીએ પોલીસ જીપમાંથી ઉતરીને મારી ગાડીમાં બેસી ગયો તેવું હું ચોક્કસ કહી શકતો નથી. કારણ કે, આજે મને તે ચોક્કસ જગ્યા યાદ નથી. પરંતુ એટલું યાદ છે કે, મારી ગાડી આવી જતાં હું પોલીસવાનમાંથી ઉતરી મારી ગાડીમાં જતો રહેલો. એ વાત ખરી છે કે, એ વખતે ડો.માયાબહેન પોલીસજીપમાં બેઠેલા રહ્યા હતા. એ વાત ખરી છે કે, ત્યારપછી માયાબહેન કયાં ગયેલા તેની મને ખબર નથી. એ વાત પણ ખરી છે કે, વિધાનસભાનું સત્ર મુલત્વી થયા પછી અને તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં જોયા તે દરમ્યાનમાં ડો.માયાબહેન કોડનાની કયાં હતા તેની મને ખબર નથી. હું નરોડા ગામમાં કયારેય ગયેલ નથી પરંતુ નરોડા ગામ વિસ્તારથી અનેકવાર પસાર થયેલ છું. હું વિધાનસભા ગૃહથી નરોડા ગામ વચ્ચેનું અંતર કેટલું છે તે બાબતે કંઇ પણ કહી શકું નહી.”
આગળની પોસ્ટ