પ્રેમમાં પાગલ હોય તેવા પ્રેમીઓ ક્યારે શું પગલુ ભરશે તે કહેવુ મુશ્કેલ હોય છે. ભોપાલમાં પણ આવી જ એક ઘટના બની છે. જેમાં ભાજપ યુવા મોરચાના નેતાએ આવેશમાં આવીને પોતાને ગોળી મારી દીધી હતી. મળતી જાણકારી પ્રમાણે ભાજપ યુવા મોરચાના અરેરા વિસ્તારના ઉપાધ્યક્ષ અતુલ લોખંડે તેના જ મહોલ્લામાં રહેતી એક યુવતીના પ્રેમાં પડ્યો હતો.જે બેન્કમાં નોકરી કરે છે.
મંગળવારે અતુલ પ્રેમિકાના પિતા સમક્ષ લગ્ન કરવા માટેનો પ્રસ્તાવ લઈને ગયો હતો.જોકે પ્રેમિકાના પિતાએ લગ્નની મંજુરી આપવાનો સાફ ઈનકાર કરી દીધો હતો. એ પછી અતુલે પોતાના ફેસબૂક એકાઉન્ટ પર પ્રેમ પ્રસંગોની જાણકારી આપીને લખ્યુ હતુ કે તેના પપ્પાએ કહ્યું છે કે આજે સાંજે ઘરે આવ અને જો ખરેખર મારી પુત્રીને પ્રેમ કરતો હોય તો મરીને બતાવ ..જો તું બચી ગયો તો તારુ લગ્ન નકકી, નહીતર સાત જનમ તો છે જ..ફરી જન્મીને કરી લેજે લગ્ન
આ લખ્યાના પંદર મિનિટ બાદ અતુલે પોતાને કાનપટ્ટી પર ગોળી મારી લીધી હતી તેમ પોલીસનુ કહેવુ છે.ગોળીનો અવાજ સાંભળી લોકો દોડી આવ્યા હતા.તેને હોસ્પિટલ લઈ જવાયો હતો , મંગળવારની મોડી રાતે ડોક્ટરોએ તેને બ્રેન ડેડ જાહેર કર્યો હતો.