કર્ણાટકમાં જનતાદળ સેક્યુલર અને કોંગ્રેસના ગઠબંધનવાળી સરકારમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે પૂર્વ વડાપ્રધાન અને જેડીએસના વડા એચડી દેવગૌડાએ ચેતવણી આપી છે કે, કોંગ્રેસ પાર્ટીએ ક્ષેત્રિય પક્ષોને હળવાશથી લેવા જોઇએ નહીં. તેમણે કહ્યું છે કે, ક્ષેત્રિય પક્ષો દરેક જગ્યાએ તેમની સાથે આગામી ચૂંટણી લડે તે બાબત જરૂરી નથી. જેડીએસ નેતા દેવગૌડાએ ચેતવણી આપીને કોંગ્રેસને સાવધાન કરી દીધી છે. બીજી બાજુ લોકસભાની ચૂંટણી પહેલા મહાગઠબંધનની ચાલી રહેલી તૈયારીઓને પણ આના લીધે ફટકો પડ્યો છે. દેવગૌડાએ કહ્યું હતું કે, છ બિનએનડીએ પક્ષના નેતાઓ કુમારસ્વામીની શપથવિધિ દરમિયાન ઉપસ્થિત રહ્યા હતા જે એકતા દર્શાવે તે બાબત પુરતી હતી પરંતુ આ જરૂરી નથી કે, વર્ષ ૨૦૧૯માં પણ સાથે મળીને ચુંટણી લડશે. દરેક રાજ્યમાં એક સાથે મળીને આ રાજકીય પક્ષો ચૂંટણી લડે તે બાબત જરૂરી નથી. અત્રે નોંધનીય છેકે, કુમારસ્વામીના શપથમાં એકતા દર્શાવવા માટે કોંગ્રેસ, ટીએમસી, બહુજન સમાજ પાર્ટી, આમ આદામી પાર્ટી, સીપીએમ અને ટીડીપીના નેતા બેંગ્લોરમાં એક સાથે પહોંચ્યા હતા. ગૌડાએ કહ્યું હતું કે, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી હજુ પણ ૪૦-૪૦ લોકસભા સીટો ઉપર વાત કરી રહી છે. બંગાળમાં ટીએમસી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવા તૈયાર થઇ ચુક્યા છે. મહારાષ્ટ્રમાં એનસીપી, આંધ્રપ્રદેશમાં ટીડીપી, તેલંગાણામાં ટીઆરએસને કોંગ્રેસની સાથે મળીને ચૂંટણી લડવી જોઇએ કે કેમ તે અંગે નિર્ણય લેવાનો હજુ બાકી છે. જેડીએસે કહ્યું હતુંકે, માત્ર કર્ણાટકમાં અમે નિર્ણય કરી ચુક્યા છે કે, કેટલાક મતભેદ છતાં કોંગ્રેસની સાથે મળીને ચૂંટણી લડીશું પરંતુ આને લઇને ક્ષેત્રિય પક્ષોને હળવાશથી લેવાની જરૂર નથી. ખેંચતાણ વચ્ચે રાહુલ અને કુમારસ્વામી વચ્ચે વાતચીત ટળી ગઈ છે.