ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસના રાજીનામા ઉપર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનો આ આંતરીક મામલો છે. કોંગ્રેસે દેશમાં કટોકટી નાંખી હતી અને આજે કોંગ્રેસમાં કટોકટી છે. હાથનાં કર્યા હૈયે વાગી રહ્યાં છે. એક પછી એક રાજીનામા અને નારાજગી બહાર આવી રહી છે. કોંગ્રેસમાં રહેલી જુથબંધીની પરાકાષ્ટાનું પ્રદર્શન છે. કોંગ્રેસની વિચારધારા, નેતૃત્વ અને કાર્યપધ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કોંગ્રેસની વેરઝેરની રાજનીતિને સંસદમાં અને તમામ રાજ્યોમાં પ્રજાએ જાકારો આપ્યો છે. હવે કોંગ્રેસની અંદરોઅંદર રહેલી જુથબંધીને કારણે તેનાં પ્રદેશ નેતાઓ, કાર્યકર્તાઓ જાકારો આપી રહ્યા છે. તાજેતરમાં કોંગ્રેસે પાંચ જિલ્લા પંચાયત અને ૨૮ જેટલી તાલુકા પંચાયતો ગુમાવી છે. ગાંધીજીએ આઝાદી પછી કોંગ્રેસને વિખેરી નાંખવાનું કહ્યું હતું પરંતુ કોંગ્રેસના નેતાઓ તે સમયે માન્યા ન હતા પછી નરેન્દ્ર મોદીની આગેવાની અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની આગેવાનીમાં દેશની જનતાએ કેન્દ્રમાં અનેક રાજ્યોમાં સત્તામાંથી દૂર કરીને કોંગ્રેસને વિખેરી નાંખી. હવે બીજા તબક્કામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસને વિખેરી નાંખવાનું કામ કરી રહ્યા છે. અમારા કરતા કોંગ્રેસના આંતરિક મામલામાં કોંગ્રેસ જ વધુ જવાબ આપી શકશે તેમ પંડ્યાએ જણાવ્યું હતું.
આગળની પોસ્ટ