વડોદરાનાં ફાજલપુર ગામ પાસે રેતી ભરીને જતા ડમ્પરની અટફેટે આજે યુવાનનું મોત નિપજ્તાં સ્થાનિક લોકોમાં જોરદાર આક્રોશ ફાટી નીકળ્યો હતો અને વિફરેલાં ટોળાએ ડમ્પર સહિત એક પછી એક દસ જેટલા વાહનોને સળગાવી ફુંકી માર્યા હતા. વિફરેલા ટોળાનો આક્રોશ શાંત પાડવા પોલીસને પણ ભારે જહેમત કરવી પડી હતી. બીજીબાજુ, જ્યાં સુધી ડમ્પર ચાલક નહીં પકડાય ત્યાં સુધી લાશ નહીં ઉઠાવવાની ચીમકી સ્થાનિક લોકોએ ઉચ્ચારી હતી. અકસ્માત સ્થળે જ તંબુ બાંધી મૃતકનાં પરિવારજનો બેસી જતાં લાશ નહીં સ્વીકારવાનો નિર્ણય લીધો હતો, જેના કારણ વાતાવરણ ગરમાયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર નજીક આવેલા ફાજલપુર ગામ પાસે મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન ચાલે છે. આ સમયે રેતી ભરીને જઇ રહેલા એક ડમ્પર ચાલકે નોકરી પર જતા બાઇક ચાલક ભરતભાઇ ગોહિલને ટક્કર મારતાં ઘટના સ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના બાદ ડમ્પરચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
રોષે ભરાયેલા લોકોએ ડમ્પર, ટ્રક અને ૩ જેસીબીમાં આગ ચાંપી દીધી હતી. મૃતકનાં પરિવારે લાશ નહીં ખસેડવાનો નિર્ણય લેતાં ૭ કલાકથી મૃતદેહ રઝળતો રહ્યો હતો. પોલીસે પરિવારજનો સાથે વાટાઘાટો કરી છતાં કોઇ નિકાલ આવ્યો નહોતો. પરિવારજનો ડમ્પરનાં ચાલકની ધરપકડની માંગ કરી રહ્યા હતા. પરિવારજનોએ અકસ્માત સ્થળે તંબુ બાંધી મૃતકની લાશ નહીં ઉઠાવવાનો નિર્ણય કરતાં અને ત્યાં જ બેસી જતાં પોલીસ પણ મુંઝવણમાં મૂકાઇ હતી. જો કે, આખરે ઉચ્ચ કક્ષાએથી સમગ્ર મામલામાં ન્યાય અપાવવાની અને આરોપી ડમ્પરચાલકને પકડવાની હૈયાધારણ અપાતાં સમગ્ર મામલો થાળે પડયો હતો. બીજીબાજુ, ઘટનાથી ઉશ્કેરાયેલા સ્થાનિક ગ્રામજનોએ રસ્તા પર ચક્કાજામ કરીને ખનન સાઇટ પર તોડફોડ કરી હતી. આજના આ બનાવને લઇ સમગ્ર પંથકમાં વાતાવરણ ગરમાયેલું રહ્યું હતું.