દેવભૂમિ દ્વારકા,તા.૨૪
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બેટ દ્વારકામાં રૂ.૧૪.૪૩ કરોડના વિકાસ કામો અને કુપોષણમુક્તિના ધ્યેય સાથે નવતર અભિયાન કાન્હાનું કામ – દૂધનું દાનનો પ્રારંભ કરાવતાં જળ સંચય અભિયાનથી દુકાળ ભૂતકાળ બનશે તેવો સ્પષ્ટ વિશ્વાસ દર્શાવ્યો હતો. તેમણે કહ્યું કે, ધોમધખતા તાપમાં આ અભિયાનમાં થઇ રહેલું શ્રમદાન અને પરિશ્રમનો પરસેવો આગામી ચોમાસામાં જળ સમૃધ્ધિનું અમૃત બનશે જ. આજે દ્વારકા ખાતે ધારાસભ્યશ્રી શ્રી પબુભા માણેક દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથા અને શ્રી કોટી વિષ્ણુ મહાયજ્ઞ કથામાં ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સમગ્ર રાજયમાં તા.૧લી મે થી સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હાથ ધરવામાં આવેલ છે જેમાં ૧૩ હજાર તળાવોને ઉંડા ઉતારવા, ૩૨ નદીઓને પુનઃ જીવીત કરવા સહિતના જળ સંચયના કામો હાથ ધરવામાં આવેલ છે. જળ એ જીવન છે દુષ્કાળ ભુતકાળ બને અને ગુજરાત પાણીદાર બને તે માટે રાજય સરકારે જળ સંચય અભિયાન હાથ ધરેલ છે. ભગવાન શિવની આરાધના માટે આ પવિત્ર પુરષોતમ માસમાં લોકોને ધર્મલાભ આપવા માટે યોજવામાં આવેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના આયોજન માટે ધારાસભ્ય પબુભા માણેકને અભિનંદન આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ કથા દરમિયાન ૧૦ લાખ લોકો પ્રસાદનો લાભ મેળવશે અને આ શ્રીમદ ભાગવત કથા દ્વારા માનવજાતનું કલ્યાણ થશે તેવી મને શ્રધ્ધા છે. આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે કેન્દ્ર સરકારની ‘‘હ્રદય યોજના’’ અન્વયે બેટ દ્વારાના રૂા.૧૪ કરોડથી વધુના વિકાસ કામોનું ઈ-તકતી અનાવરણ કરીને ખાતમુહુર્ત કર્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ પબુભા માણેક અને સમસ્ત વાઘેર ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત કથા ૧૦૦૮ મહામંડલેશ્વર પુજય કન્કેશ્વરી દેવીના વ્યાસાસને ચાલી રહેલ શ્રીમદ ભાગવત પરાયણમાં ઉપસ્થિત રહી કથાશ્રવણનો ધર્મલાભ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના વિકાસ મંત્રાલયે દેશના અગ્રીમ સાંસ્કૃતિક કેન્દ્ર સમાન ૧૨ શહેરોમાંથી તીર્થધામો પૈકી ગુજરાતમાંથી દ્વારકા તીર્થધામની પસંદગી ‘હેરીટેજ સીટી ડેવલપમેન્ડ એન્ડ હ્રદય’ તરીકે ઓળખાતી યોજનામાં સમાવેશ કરેલ છે. આ કેન્દ્રોમાં માળખાગત સુવિધાઓના વિકાસ તથા પ્રવાસીઓની સુવિધા-સુખાકારીના વિકાસ કામો હાથ ધર્યા છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આ તકે ‘કાન્હાનું કામ દુધનું દાન’ યોજનાનો શુભારંભ કરતા જણાવ્યું હતું કે આગેવાનો અને વહિવટીતંત્રના સહયોગથી દૂધ મંડળીઓનું વધારાનું દુધ ૩૦૦ આંગણવાડી કેન્દ્રોમાં ૧૩ હજાર બાળકોને આપવામાં આવશે.
આ પ્રસંગે પ્રભારીમંત્રી વાસણભાઇ આહિરે કેન્દ્ર સરકારની હ્રદય યોજના અંતર્ગત દ્વારકા અને બેટ દ્વારકાની પસંદગી બદલ આભારની લાગણી વ્યકત કરતા ઉમેર્યું હતું કે પ્રવાસન ધામ તરીકેના સર્વાંગી વિકાસને કારણે આ વિસ્તારમાં રોજગારીની અનેક તકો ઉભી થવા પામી છે. આ તકે તેઓએ પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટેના રાજય સરકારના આયોજની વિગતો આપી દ્વારકામાં સતત સુવિધાઓનો વધારો કરવા અંગે પ્રતિબધ્ધતા દર્શાવી હતી. રાજય સરકાર છેવાડાના માનવીને તમામ માળખાગત સુવિધા આપવા સતત પ્રતિબધ્ધ હોવાનું જણાવતા સાંસદશ્રી પુનમબેન માડમે કોસ્ટલ વિસ્તારના વિકાસ માટેના રાજય સરકારના આયોજનની વિગતો આપતા જણાવ્યું હતું કે વિશ્વપ્રસિધ્ધ દ્વારકા અને બેટ દ્વારકામાં ૧૪ કરોડથી વધારે રકમના વિકાસ કામોને કારણે આવનારા પ્રવાસીઓની સુવિધામાં અનેકગણો વધારો થશે. આ તકે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન માટે જનજનને ભાગીદાર બનાવી જન અભિયાનમાં પરિવર્તિત કરી આવનારા ભવિષ્યને પાણીદાર બનાવવાના પ્રયાસો બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રારંભમાં ધારાસભ્ય પબુભા માણેકે સૌને આવકાર્યા હતા. આ પ્રસંગે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, ગ્રીમકોના ચેરમેન મેઘજીભાઇ કણઝારીયા, જિલ્લા કલેકટર જે.આર. ડોડીયા, જિલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલ, જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ, અગ્રણી વેલજીભાઇ, જયંતિભાઇ અને શ્રોતાજનો ઉપસ્થિત રહયા હતા.