સૂર્યપુત્ર શનિદેવના આજના જન્મદિવસ એવી શનિજયંતિને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરના શનિમંદિરોમાં શનિ મહારાજના જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આજે અમાસ, મંગળવાર અને શની જયંતિનો અનોખો ત્રિવેણી સંયોગ બન્યો હોઇ આ વખતની શનિજયંતિ ઘણી શુભ અને લાભકારી બની રહી હતી. શહેરના દૂધેશ્વરના અતિપ્રાચીન શનિમંદિરમાં આજે શનિદેવને વિશેષ પ્રકારે ૫૧ કિલો લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ સાથે જ શનિદેવની ભવ્ય મહાઆરતી અને હોમ-હવન, યજ્ઞનું પણ આયોજન કરાયું હતું. તો શાહીબાગ વિસ્તારના શનિમંદિર, થલતેજ ખાતેના શનિમંદિર, ડ્રાઇવઇન વિસ્તારમાં વૈભવલક્ષ્મી મંદિરમાં આવેલ શનિમંદિર સહિતના શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા શનિમંદિરોમાં શનિમહારાજના જન્મોત્સવની ભવ્ય ઉજવણી ઉપરાંત, તેલ અભિષેક અને વિશેષ પૂજા-મહાઆરતીનું આયોજન કરાયું હતું. આજે શનિદેવની કૃપા મેળવવાનો મહામૂલો અવસર હોઇ મોડી રાત સુધી શ્રધ્ધાળુ શનિભક્તોની ભારે ભીડ શનિમંદિરોમાં જામેલી રહી હતી. રાજયભરના શનિમંદિરો ઓમ્ શં શનૈશ્ચરાય નમઃ અને શનિદેવના જય જયકારથી ગુંજી ઉઠયા હતા. આ વર્ષે શનિજયંતિ મંગળવારે એટલે કે, હનુમાનજી દાદાના વારે આવી હોવાથી આજે હનુમાનજી મંદિરોમાં પણ શનિમહારાજની પૂજા અર્ચના કરવામાં આવી હતી. શનિદેવના પ્રિય દેવ અને ગુરૂસમાન દેવ હનુમાનજી હોઇ હનુમાનજી મંદિરોમાં પણ શનિજયંતિની આજે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આજની શનિજયંતિ નિમિતે શહેરના દૂધેશ્વર વિસ્તારમાં ધોબીઘાટ પાસેના અતિપ્રાચીન શનિમંદિરમાં આવતીકાલે સૂર્યપુત્ર શનિદેવ જન્મજયંતિ ઉત્સવનું વિશેષ આયોજન કરાયું હતું. ૧૦૮ વર્ષ જૂના શનિમંદિરના મહારાજ લાલચંદજી ભાર્ગવ અને રવિ મહારાજે જણાવ્યું હતું કે, દૂધેશ્વર સ્થિત આ શનિમંદિર અતિપ્રાચી અને અનન્ય મહાત્મ્ય ધરાવે છે. આજે શનિજયંતિ નિમિતે શનિદેવને ખાસ પ્રકારે ૫૧ કિલો લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. બપોરે ૧૨-૦૦ વાગ્યે શનિ મહારાજની ભવ્ય મહાઆરતી યોજાઇ હતી. આ સિવાય સવારે ૧૦-૦૦ વાગ્યાથી રાત્રે ૧૨-૦૦ વાગ્યા સુધી શનિદેવને ૧૦૮ આહુતિ આપવાનો ભવ્ય હોમ-હવન અને યજ્ઞ યોજાયો હતો. સાંજે ૬-૦૦થી રાત્રે ૧૦-૦૦ દરમ્યાન મંદિર ખાતે જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો શ્રધ્ધાળુઓ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. ઉપરાંત, સવારે ૮-૦૦થી રાત્રે ૧૦-૦૦ વાગ્યા સુધી ગણેશપૂજન, શનિ અભિષેક, નવગ્રહ શાંતિપાઠ, શનિકથા સહિતના પૂજા-કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડી રાત સુધી મંદિરમાં શનિદેવના દર્શન માટે ભકતોની ભારે ભીડ ઉમટી હતી. આ જ પ્રકારે અમદાવાદ જિલ્લાના ધંધુકા નજીક ખડોલ શનિધામ ખાતે પણ શનિદેવના પ્રાગટયદિન નિમિતે સંકલ્પસિધ્ધિ મહાઅનુષ્ઠાન યોજાયુ હતું. શાહીબાગ વિસ્તારના શનિમંદિર, થલતેજ ખાતેના શનિમંદિર, ડ્રાઇવઇન વિસ્તારમાં વૈભવલક્ષ્મી મંદિરમાં આવેલ શનિમંદિર, એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પર આવેલા મારૂતિનંદન મંદિરમાં આવેલ શનિમંદિરમાં પણ આજે શનિ મહારાજના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઇ હતી. શનિ મહારાજને શ્રધ્ધાળુ ભકતો દ્વારા તેલ, અડદ, સરસીયુ તેલ, તલ, ઇન્દ્રજવ, નીલમ, કામલી, કાળા વસ્ત્રો, ગોળ-ચણા, લોખંડ અર્પણ કરાયું હતું અને તેનું જરૂરિયાતમંદોમાં દાન પણ કરાયું હતું. સામાન્ય રીતે શનિની સાડાસાતી કે શનિની મહાદશા કે વક્રી શનિ જેવા શબ્દો સાંભળી માણસ થરથર કાંપી ઉઠતો હોય છે પરંતુ શનિદેવથી ડરવાનું કોઇ કારણ નથી. કારણ કે, શનિદેવ માત્ર ગુનેગારો, ભ્રષ્ટાચારીઓ, પાપાચારીઓ અને દુરાચારીઓને સબક શીખવાડે છે.
સન્માર્ગે ચાલનારા લોકો માટે તો શનિદેવ આશીર્વાદ આપતા દેવ છે. અન્યાયીઓ કે આતતાયીઓ પર શનિદેવ કયારેય પ્રસન્ન થતા નથી. શનિદેવ એ ન્યાયના દેવતા છે. રાજયભરના શનિમંદિરો ઓમ્ શં શનૈશ્વરાય નમઃ સહિત શનિદેવના જય જયકાર સાથે ગુંજી ઉઠયા હતા.
આગળની પોસ્ટ