ભારતીય જનતા પાર્ટીએ આંધ્રપ્રદેશમાં કન્ના લક્ષ્મીનારાયણને રાજ્ય એકમના અધ્યક્ષ તરીકે ચૂંટી કાઢ્યા છે. આ અંગેની માહિતી આંધ્રપ્રદેશ ભાજપના ઓફિશિયલ ટિ્વટર એકાઉન્ટ પર આપવામાં આવી છે. છેલ્લા મહિનામાં કન્ના લક્ષ્મીનારાયણ દ્વારા પાર્ટી છોડવાના અહેવાલો વચ્ચે વરિષ્ઠ ભાજપના નેતા સોમુ વીરરાજુ સહિત અન્ય નેતાઓએ તેમની સાથે વાતચીત કરી હતી. ભાજપના નેતાઓએ તેમની સાથે આશરે ૩૦ મિનિટ સુધી વાતચીત કરી હતી. એમ માનવામાં આવે છે કે, ભાજપે આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ચૂંટણીને ધ્યાનમાં લઇને કરવામાં આવેલા આ નિર્ણયને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. કન્ના લક્ષ્મીનારાયણ આંધ્રપ્રદેશની રાજનીતિમાં એક ખુબ મહત્વપૂર્ણ ચહેરા તરીકે છે. આગામી દિવસોમાં કન્ના લક્ષ્મીનારાયણ ઉપર પણ હવે જવાબદારી વધુ નાંખવામાં આવનાર છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવવાના ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે આંધ્રપ્રદેશની તૈયારી પણ હાથ ધરવામાં આવીચુકી છે. લક્ષ્મીનારાયણ આગામી દિવસોમાં ભાજપ સંગઠનમાં નવા પ્રાણ ફૂંકવા માટેના પ્રયાસો શરૂ કરશે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ હવે ૧૫મીના દિવસે જાહેર કરવામાં આવનાર છે. દક્ષિણ ભારતના રાજ્ય ગણાતા કર્ણાટકમાં પાર્ટીની મજબૂત સ્થિતિ થવાની સ્થિતિમાં આંધ્રપ્રદેશમાં પણ પાર્ટીને વધારે તક મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહે આંધ્રપ્રદેશમાં પણ પ્રાથમિકરીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને નેટવર્ક જમાવવાના પ્રયાસો હાથ ધરાયા છે.
આગળની પોસ્ટ