શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા વકફ ટ્રસ્ટના ચેરમેન પીર હુસેન ઉર્ફે યાસીનબાપુએ સરખેજની શેરઅલી દરગાહના ઈમામને રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. યાસીનબાપુએ ઈમામને તેમના બનાવેલા નિયમો પાળવાનું કહી ધમકી આપી હતી. યાસીને પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધમાં ફેસબુકમાં લખાણ પણ લખ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ આરીફુદ્દીન સૈયદ સરખેજ પોલીસ સ્ટેશન પાસે આવેલી શેરઅલી દરગાહમાં ઇમામ તરીકે ફરજ બજાવે છે. ફરિયાદના આક્ષેપો મુજબ, સરખેજમાં આવેલી સમીર રેસિડન્સીમાં રહેતા અને વકફ ટ્રસ્ટના ચેરમેન પીર હુસેન ઉર્ફે યાસીનબાપુ સૈયદ અવારનવાર મસ્જિદમાં મને મળે ત્યારે તેમણે બનાવેલા નિયમો પાળવા અને બીજાને પાલન કરાવવા કહેતા હતા. તા. ૩૦ એપ્રિલના રોજ સરખેજ ઢાળ પાસેથી આરીફુદ્દીન પસાર થતો હતો ત્યારે યાસીનબાપુ અને અફઝલખાન પઠાણ (રહે. સિપાઈવાસ, સરખેજ) એક્ટિવા લઈને આવ્યા હતા અને બંને તેને અફઝલખાનની ઓફિસે લઇ ગયા હતા. ઓફિસમાં અમીન મીનાપરા (રહે. સરખેજ ગામ) અને કાદરભાઈ (રહે. સરખેજ) હાજર હતા. ચારેયે ભેગા મળી ઇમામ આરીફુદ્દીનને માર માર્યો હતો. યાસીનબાપુએ રિવોલ્વર કાઢી આરીફુદ્દીનને બતાવી કહ્યું હતું કે તેમના બનાવેલા નિયમો નહિ પાળે તો જાનથી મારી નાખીશ. ગત રવિવારે આ ચારેય શખ્સ શેરઅલી દરગાહે આવીને રોજ કમિટી દ્વારા તેને બેદખલ કરી દીધા અંગેના પત્ર પર સહી કરવાનું કહ્યું હતું. આરીફુદ્દીને સહી ન કરતાં માર માર્યો હતો. મારથી બચવા આરીફુદ્દીન ત્યાંથી નાસી ગયો હતો. બીજા દિવસે તેણે પોલીસ કમિશનર અને સરખેજ પોલીસને યાસીનબાપુ સહિતના લોકો સામે અરજી આપી હતી. આ અંગે આરીફુદ્દીને ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી કે યાસીનબાપુએ તેમના બનાવેલા નિયમ પાળવા માટે રિવોલ્વર બતાવી માર માર્યો હતો. ફરિયાદમાં જણાવ્યું હતું કે યાસીનબાપુ હુસેની મસ્જિદમાં ધર્મઝનૂની ભાષણ આપે છે. અવારનવાર ફતવા બહાર પાડે છે. તા.ર મેના રોજ પીર હુસેન ઉર્ફે યાસીનબાપુ સૈયદે તેના ફેસબુક એકાઉન્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોસ્ટ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર મામલા અંગે જરૂરી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ઇમામની ફરિયાદને પગલે મુસ્લિમ સમુદાયમાં ભારે ચર્ચા ચાલી છે.