વડોદરા મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગે આજે ખંડેરાવ માર્કેટની પાછળ આવેલી કેરીની ૪૦ જેટલી વખારોમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન કાર્બાઇડ પાવડરથી પકાવેલી ૧૨૦૦ કિલો કેસર, બદામ, લંગડો સહિત કેરીનો નાશ કર્યો હતો.ઉનાળાનો પ્રારંભ થતાં જ વડોદરા શહેરમાં ફળોના રાજા કાચી-પાકી કેરીનું વેચાણ શરૂ થઇ ગયું હતું. આ સાથે શહેરમાં કેરીનું જ્યુસ અને રસનું પણ ધૂમ વેચાણ શરૂ થઇ ગયું હતું. વડોદરા મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગને વડોદરા શહેરમાં કાર્બાઇડ પાવડથી પકાવવામાં આવતી કેરીઓનું વેચાણ થઇ રહ્યું હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે આજે સવારથી આરોગ્ય વિભાગે ખંડેરાવ માર્કેટની પાછળ આવેલી કેરીની વખારોમાં દરોડા પાડ્યા હતા. આરોગ્ય વિભાગે દરોડા પાડતાની સાથે જ વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. જોકે, આરોગ્ય વિભાગની ૫ જેટલી ટીમોએ દરોડાની કાર્યવાહી સાથે જ કાર્બાઇડ પાવડરથી પકાવેલી કેરીઓ તેમજ કાર્બાઇડ પાવડરથી પકવવા મુકેલી કેરીઓનો વિપુલ જથ્થો જપ્ત કરી લીધો હતો. અને કાર્બાઇડ પાવડરથી પકાવેલી કેરીનો જથ્થો સ્થળ પર જ નાશ કર્યો હતો.