વડોદરા જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ ગામડાઓમાં લોકભાગીદારી તેમજ વિવિધ વિભાગો દ્વારા ૨૪૫ જેટલા તળાવો ઉંડા કરવાની કામગીરીનું આયોજન કરવામાં આપ્યુ છે. વડોદરા જિલ્લામાં ગુજરાત ગૌરવ દિવસથી સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનના પ્રથમ સપ્તાહમાં જિલ્લાભરમાં તળાવો ઉંડા કરવાના ૧૧૩ જેટલા કામો પ્રગતિમાં છે. જલસંચય અભિયાનમાં જિલ્લાભરના નાગરિકો ઉત્સાહભેર જોડાઇ ભાવિ પેઢીને સમુધ્ધ જળ વારસો આપવા માટે સૌ સંકલ્પબધ્ધ બન્યા છે. સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હેઠળ વડોદરા જિલ્લામાં પ્રથમ સપ્તાહમાં થયેલ કામગીરીની વિગતો આપતા નોડલ અધિકારીશ્રી શાહે જણાવ્યુ કે અભિયાન અંતર્ગત જિલ્લામાં મનરેગા હેઠળ ૫૦, સિંચાયઇના ૪, લોકભાગીદારીથી ૫૯ સહિત કુલ તળાવ ઉંડુ કરવાના ૧૧૩ કામો પુરજોશમાં ચાલી રહ્યા છે. જેમાં વાઘોડીયા તાલુકામાં ૧૭, કરજણમાં ૧૬, ડભોઇમાં ૧૧, શિનોરમાં ૪, વડોદરામાં ૯, પાદરામાં ૧૬, સાવલીમાં ૨૪ અને ડેસર તાલુકામાં ૧૬ સહિત ૧૧૩ કામોનો સમાવેશ થાય છે. જિલ્લામાં કુલ ૨૪૫ તળાવો ઉંડા કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત જિલ્લાની ચાર નગરપાલિકાઓમાં ચાર તળાવો ઉંડા કરવાની કામગીરી પણ ચાલી રહી છે. આ ઉપરાંત જિલ્લામાં નર્મદા યોજનાની નહેરોની સફાઇ તથા મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે.