મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા દરેક ચોમાસા પહેલાં રાબેતા મુુજબ વરસાદી પાણીના સંગ્રહ માટેની પરકોલેટિંગ વેલની જાળવણી માટે શહેરના ફલેટ, સોસાયટી કે સંસ્થાઓને નોટિસ ફટકારવાની તજવીજ હાથ ધરાઇ છે. સરકારના જળસંચય અભિયાન અંતર્ગત અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા હવે પરકોલેટિંગ વેલનો આગ્રહ રાખવામાં આવી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે. બીજીબાજુ, શહેરના કેટલાય પરકોલેટિંગ વેલ પુરાઇ ગયા છે અથવા તો, ચાલુ સ્થિતિમાં નથી ત્યારે અમ્યુકો તંત્ર હવે તેના પરત્વે શું વલણ અપનાવે છે તેની પર પણ સૌની નજર છે. જીડીસીઆરના નવા નિયમ મુજબ પ્રત્યેક નવી સ્કીમમાં પરકોલેટિંગ વેલ હોવા ફરજિયાત છે. આ નિયમ વ્યવસ્થિત રીતે પળાઇ રહ્યો છે કે કેમ તે વિવાદનો વિષય છે, પરંતુ તાજેતરના રાજય સરકારના જળ સંચય અભિયાન હેઠળ હવે અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા પરકોલેટિંગ વેલનો પરપોટો વહેતો મુકાયો છે. કમનસીબે ભૂગર્ભ જળનાં સંચય માટેના પરકોલેટિંગ વેલની ભારે ઉપેક્ષા સેવાઇ રહી છે. તંત્રના ચાર મહિના જૂના સર્વેના આધારે શહેરમાં ૭૦૦થી વધુ પરકોલેટિંગ વેલ છે, પરંતુ તેમાંથી કેટલા આજની સ્થિતિમાં ઉપયોગી છે તે મોટો પ્રશ્ન છે. સત્તાવાળાઓએ પરકોલેટિંગ વેલ ધરાવતા મિલકતધારકોને કેચપીટ તેમજ ગાળણ હેતુના પેબલ્સ કે કાંકરા પરની માટી સાફ કરી પાણીનો ફુવારો મારી વરસાદી પાણી તેમાં ઊતરે તેવી વ્યવસ્થા કરવાની તાકીદ કરી છે. જો કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની આ કવાયતથી પુરાઇ ગયેલા પરકોલેટિંગ વેલ પુનઃ રિચાર્જ થશે તેની કોઇ ખાતરી નથી. કેમ કે તંત્ર પાસે રિચાર્જ પરકોલેટિંગ વેલની તપાસ હેતુનો પૂરતો સ્ટાફ સુધ્ધાં નથી. વળી, જો પરકોલેટિંગ વેલ ઝાડનાં પાંદડાં, માટી વગેરેથી પુરાઇ ગયેલ હોય અને તેને રિચાર્જ કરવાની તંત્રની નોટિસની અવગણના કરાઇ હોય તો પણ તે સંજોગોમાં કોઇ પેનલ્ટીની પણ કાયદામાં જોગવાઇ ન હોઇ મોટા ભાગના પરકોલેટિંગ વેલ નકામા બનતા જાય છે. બીજી તરફ એક ખાનગી કંપનીને મેન્ટેનન્સ હેતુ અપાયેલા મ્યુનિસિપલ બાગ બગીચાના પરકોલેટિંગ વેલ તો શોધ્યે જડે તેમ નથી. આમ, અમ્યુકો સત્તાવાળાઓનો પરકોલેટિંગ વેલનો આગ્રહ ફળીભૂત થાય તો સારૂ એવી આશા સૌકોઇ રાખી રહ્યા છે.
પાછલી પોસ્ટ