રાજ્ય સ્થાપના દિન-ગુજરાત ગૌરવ દિનથી ગુજરાતમાં પ્રારંભાયેલા સુજલામ-સુફલામ જળસંચયના રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાના ભદામ ગામેથી ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે શુભારંભ થયા બાદ નર્મદા જિલ્લામાં આ અભિયાન ક્રમશઃ આગળ ધપી રહ્યું છે અને જિલ્લામાં નિર્ધારિત કરાયેલા જળસંચયના વિવિધ કામો હાથ ધરાઇ રહ્યાં છે. ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવા અને ધારાસભ્યશ્રી અને પૂર્વ સંસદીય સચિવશ્રી પૂર્ણેશભાઇ મોદીએ ગઇકાલે તેમના દેડીયાપાડા તાલુકા મથકે જિલ્લાકક્ષાના કિસાન કલ્યાણ મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ દેડીયાપાડા તાલુકાના ખૈડીપાડા ગામે સુજલામ – સુફલામ જળ સંચય યોજના અંતર્ગત શરૂ કરાયેલ તળાવ ઉંડા કરવાના કામના સ્થળની મુલાકાત લઇ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી આ અંગેની જાણકારી મેળવી હતી. આ પ્રવાસમાં સાથે જોડાયેલા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ જિલ્લામાં જળસંચય અભિયાન હેઠળ કરાયેલા આયોજન અને હાથ ધરાયેલા કામોની આંકડાકીય વિગતોથી સાંસદશ્રી વસાવા તેમજ ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઇ મોદીને વાકેફ કર્યા હતા. આગામી ચોમાસા દરમિયાન આ તળાવનો વ્યાપ વધવાને લીધે જળસંગ્રહની ક્ષમતામાં વધારો થશે તેવી ચર્ચા વચ્ચે તળાવની બાજુમાં આવેલ ૩૦ ફુટ ઉંડા કુવામાં તળાવના પાણીના કારણે ઉંચા રહેલા તળની પણ તેમણે સરાહના કરી હતી. આગામી ચોમાસામાં તળાવ ભરાવાથી આજુબાજુના વિસ્તારમાં આવેલી ખેતીની જમીનને પણ સીધો ફાયદો થશે અને ખેતરના કુવાઓમાં પણ પાણીના તળ ઉંચા આવશે જે કદાચ બારે માસ ચાલી શકે તેવી વ્યવસ્થા ઉભી થવાના તારણો પણ તેમણે રજૂ કર્યા હતાં. આ પ્રસંગે દેડીયાપાડાના પ્રાંત અધિકારીશ્રી ડી.એન. ચૌધરી, જિલ્લાના અગ્રણીશ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, તાલુકા મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી અને સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ૦ ૦ ૦ ૦
આગળની પોસ્ટ