ગીર-સોમનાથ તા. -૦૧, ૧૦૦ કિ.મી. થી વધુ દરિયાકાંઠો ધરાવતાં ગીર-સોમનાથ જિલ્લામાં ખારાશનાં અતિક્રમણને નાથવા જળસંચય શ્રેષ્ઠ ઉકેલ છે. આથી જ રાજ્ય સરકાર દ્વારા તા. ૩૧ મે સુધી જિલ્લાનાં મહત્તમ વિસ્તારને આવરી લઇ “સુજલામ સુફલામ” યોજના અંતર્ગત જળસંગ્રહ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે.
પૂર્વ મંત્રીશ્રી જશાભાઇ બારડનાં અધ્યક્ષસ્થાને વેરાવળ તાલુકાનાં હસનાવદર ગામેથી સાંસદશ્રી ચૂનીભાઇ ગોહેલ,જિલ્લા પ્રભારી સચિવશ્રી સંજય નંદન, જિલ્લા કલેકટરશ્રી અજયપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંજય મોદીની ઉપસ્થિતિમાં ગીર-સોમનાથ જિલ્લામાં જળસંગ્રહ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. હસનાવદર ગામે રૂા. ૪.૧૫ લાખનાં ખર્ચે ગ્રામ્ય તળાવને ઉંડુ ઉતારાશે જેનાં થકી ૨૧૩૯ માનવદિન રોજગારીનું નિર્માણ થશે.
એક સમયે લીલીનાઘેર ગણાતો ગીર-સોમનાથ જિલ્લો હાલ જમીનમાં વધતી જતી ખારાશ અને વધુ પડતા ભુગર્ભ જળનાં વપરાશની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ખેતીમાં ત્રણ પાક લેતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. જ્યારે દરિયાકાંઠાનાં વિસ્તારો પીવાના પાણી માટે નર્મદા યોજના પાઇપલાઇન પર આધારિત થયા છે. આ સમસ્યાના નિવારણ માટે “સુજલામ સુફલામ” યોજના અંતર્ગત સ્વૈચ્છીક સેવાભાવી સંસ્થાઓ ઉદ્યોગકારો અને રાજ્ય સરકાર દ્વારા જળસંગ્રહ મહા અભિયાન શરૂ કરાયું છે. જેમાં સૈાને સહયોગી થવા હસનાવદર ખાતે જિલ્લાકક્ષાનાં સમારોહમાં મહાનુભાવોએ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, તા. ૩૧ મે સુધી કાર્યરત રહેનાર જળસંગ્રહ અભિયાનમાં જિલ્લાભરમાં રૂા. ૩૮૪ લાખનાં ખર્ચે ૨૧૯ કામોનો પ્રારંભ કરાયો છે. હસનાવદરના કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી પ્રદિપસિંહ રાઠોડ,ભાવનાબા ઝાલા, અગ્રણીશ્રી સરમણભાઇ સોલંકી, ગીરીશભાઇ ભજગોતર, સરપંચ ભીખુભાઇ સોલંકી સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનાં પ્રારંભે મામલતદારશ્રી પ્રજાપતિએ સ્વાગત પ્રવચન આભારવિધિ તાલુકા વિકાસ અધિકારી રાજુ ઉનડકટે અને સંચાલન તલાટીમંત્રી એસ.આર..રાવે કર્યું હતું.
REPORT BHASKAR VAIDYA